ઈતિહાસ શૌર્ય કથાઓ

અમરા વાળાના ગિરાસની ખુમારી

Saurashtra Kathiyawad

શૌર્ય કથા

‘બાપુ!’ અમરાવાળા ખિન્ન સ્વરે બોલ્યા: ‘એ ગિરાસ આપણને નહિ મળે!’ દરબાર વાજસુરવાળાએ કુંવર સામે જોયું. પછી બોલ્યા: ‘શું કરવા ન મળે, એ ગિરાસ પર આપણો કાયદેસરનો અધિકાર છે.’

‘છતાંય નહિ મળે, પ્રભુની કૃપા વગર પાંદડું પણ ન ફરકે!’ અમરાવાળાએ કહ્યું.

દરબાર વાજસુરવાળા કાંઈ બોલ્યા વગર મૌન જ રહ્યા. તેઓને સત્તાની લાલસા નહોતી પણ જે કાયદેસર મળવાપાત્ર હતું તે મળ્યું નહિ તેનો રંજ હતો.


આપણે કેસ લડવાની તૈયારી કરી એ પહેલાં સદગુરુદેવને પત્રથી જાણ કરી હતી.

બગસરા સ્ટેટના એક ભાગદાર નિર્વંશ મૃત્યુ પામ્યાં હતાં. પાંખીની દ્રષ્ટિએ આ ભાગદારનો ગિરાસ હડાળાના દરબાર વાજસુરવાળાને મળવો જોઈએ. પણ અંગ્રેજ એજન્સીએ એ ગિરાસ દરબાર વીરાવાળા (જેઓ રાજકોટ સ્ટેટના દીવાન હતા.)અને રામવાળાને આપ્યો હતો.

‘આ અન્યાય છે અને તેના સામે લડવું જોઈએ.’ વાજસુરવાળાના આ નિર્ણય સામે કોઈ બોલ્યું નહિ. કેસ દાખલ થયો, ચાલ્યો. પણ પરિણામ વિપરીત આવ્યું. ત્યારે કુંવર અમરાવાળાનું એક જ કહેવું હતું કે ભાગ્ય વગર કાંઈ મળતું નથી. આ વાત સાથે સહમત થવું પડે તેમ હતું. કારણકે કુંવરનું જીવન આધ્યાત્મિક હતું. તેઓ બોલતા એ સાચું પડતું. અને તેનાં ચોક્કસ કારણો પણ હતાં.

વાજસુરવાળા પોરબંદર સ્ટેટના વહીવટદાર તરીકે નિમાયા હતા. આ સમયગાળામાં કુંવર અમરાવાળાનો જન્મ થયેલો.તે વખતે મદ્રાસથી એક જ્યોતિષી આવેલા. આ જ્યોતિષીના પારખાં કરવા હોય તેમ રાજના અમલદારોની જન્મકુંડળીઓ ટેબલ પર થપ્પો કરી વચ્ચે કુંવરની જન્મકુંડળી પણ મૂકેલી. જ્યોતિષી એક પછી એક કુંડળી જોતાં ગયાં અને તેમાં કુંવરની કુંડળી હાથમાં આવતાં જ તે ઊભા થઇ કુંડળી માથે મૂકી નાચવા લાગ્યા હતા. પછી બોલ્યા હતા કે, ‘આ કુંડળી કોઈ સામાન્ય વ્યક્તિની નહિ પણ મહાન વિભૂતિની છે.’

‘એ કેમ ખબર પડે !?’ વાજસુરવાળાએ તાતો સવાલ કરેલો. કારણ કે તેઓ તો વિદ્વાન અને થિયોસોફિસ્ટ હતા. આમ વાતમાં આવી જાય તેવા નહોતા. ત્યારે જ્યોતિષી સહેજ પણ ડગ્યા વગર બોલ્યા હતા, ’આ જન્મકુંડળીવાળાની કાનની બન્ને બૂટ જન્મથી જ વિંધાયેલી હશે!’

વાત સો ટચના સોના જેવી હતી. પછી તો વાજસુરવાળાને પોતાના કુંવર અમરાવાળા પર એક જુદા જ પ્રકારનો ભાવ રહ્યો. તેઓને થતું કે, કુંવર જે કાંઈ બોલે છે તે સાચું પડે છે.

પણ આ તો રાજરમત કે રાજના કાવાદાવાનો મામલો હતો. તેનાથી તો સત્ય પણ સો ગાઉ છેટું રહે.

વળી મૂળ વાતનું અનુસંધાન સધાયું. કુંવરે કહ્યું, ‘બાપુ, ગાંધીબાપુ આપણા પાડોશી હતા અને હું તેઓને મામા કહેતો!’ વળી પાછું એક પ્રકારનું મૌન છવાઈ ગયું.

વાજસુરવાળા પોરબંદર રાજના વહીવટદાર હતા ત્યારના વસવાટ દરમિયાન મોહનદાસ કરમચંદ ગાંધી બાજુમાં જ રહેતાં હતાં. તેઓની સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. મા સજુબાએ ગાંધીજીને ભાઈ માની રાખડી બાંધી હતી. તેથી કુંવર ગાંધીજીને મામા કહેતા અને સામે ગાંધીજી કુંવરને ભાણિયાભાઈ કહી બોલાવતા હતા.

‘આપણે એટલે કે હું, ગાંધીનો હિમાયતી છું એવી ઇંગ્લેન્ડ પાર્લામેન્ટની ચેમ્બરલેનની ડાયરીમાં નોંધ છે.’ વાજસુરવાળાએ કહ્યું, ‘એટલે આપણને ગિરાસ આપવામાં આવ્યો નથી. અને વીરાવાળાને એટલા માટે આપવામાં આવ્યો કે તેઓ અંગ્રેજ સરકારના સમર્થક છે.’

આ વાત અહીં પૂર્ણ થઇ જવી જોઈતી હતી પણ એમ બન્યું નહિ. તે આગળ ચાલી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દરબાર વાજસુરવાળાને અંતરથી ચાહતા હતા અને સન્માન આપતા હતા. તેઓ અવારનવાર હડાળા આવતા અને લોકસાહિત્યની ખાણ સમાન વાજસુરવાળા પાસેથી લોકસાહિત્યની વિગતો મેળવતા હતા.

આ ગિરાસની સઘળી હકીકત ઝવેરચંદ મેઘાણીએ કનૈયાલાલ મુનશી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પહોંચતી કરી. ત્યારે વલ્લભભાઈએ કહ્યું હતું, ‘આ તો હળાહળ અન્યાય કહેવાય. દરબાર ગાંધીજીના સમર્થક હોવાના લીધે તેઓને ગિરાસ ન મળે!’

તે સમયે સરદાર બીમારીના લીધે મુંબઈ હતા. તેમણે મુનશીને કહ્યું હતું કે, ‘ખરેખર આ અન્યાય કહેવાય. આવું ક્યારેય સાંખી ન લેવાય. પણ હું દિલ્હી જાઉં ત્યારે મને યાદી આપજો!’ પણ પછી સંજોગોવશાત્ ક્યારેય યાદી અપાઈ નહિ. અને આ પ્રકરણ પર સદાયના માટે પડદો પડી ગયો.

પછી તો વાજસુરવાળા હરખભેર કહેતાં, ‘મને ગાંધીનો હિમાયતી કહ્યો તેનો આનંદ છે.’

એક વખત જામનગરના મહારાજા, જુનાગઢના દીવાન મહમદભાઈ, પીઠડિયા સ્ટેટના દરબાર મૂળુવાળા મિત્રભાવે હડાળાના મહેમાન બનેલા. હડાળા સાવ નાનકડું રાજ. વાટકીમાં શિરામણ કહેવાય. પણ રાજની પ્રજા સાથેની હેતપ્રીત ખૂબ જ. તેથી ગ્રામજનોએ આખું ગામ શણગારેલું અને હ્રદયના અદકા ઊમળકાથી આ મહેમાનની આગતા-સ્વાગતા કરેલી. કાઠિયાવાડી પરોણાગત પર ચાર ચાંદ લગાવી દીધેલા.

ત્યારે જામનગરના રાજવી જામસાહેબ અતિ પ્રસન્ન થઇ બોલ્યા હતા, ‘અમરુભા! માગી લ્યો જે જોઈએ તે…’ સામે અમરાવાળાની ડોક ટટ્ટાર થઇ ગઈ હતી.

‘હું જામનગરનો ધણી આજે આપના પર ખુશ થયો છું, માંગી લ્યો..!’

સામે અમરાવાળા ગરવાઈભર્યું મોં મરકાવીને બોલ્યા, ‘બાપુ! આપ જામનગરના ધણી છો. અમારા કરતાં બહુ મોટા ગામ-ગિરાસ છે. તેની ના પાડી શકાય એમ નથી.પણ..’

‘પણ શું, માંગી લ્યો જે જોઈએ તે…!’

અમરાવાળાએ પૂરી આમન્યા જાળવીને ગૌરવ સાથે કહ્યું,’ આપ જેમ રાજવી છો એમ હું પણ રાજવી છું. રાજવીનો હાથ ઊંચો થાય પણ નીચો ન થાય.’

પછી તો અમરાવાળાની ખુમારી સામે કોઈ કશું બોલી શક્યા નહિ.

સૌજન્ય : ગ્લોબલ ગુજરાત ન્યુઝ દ્વારા રાઘવજી માધડ ના લેખ.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators