ઈતિહાસ શહેરો અને ગામડાઓ

જામનગર ની રાજગાદી

Pratap Vilas Palace -Jamnagar
Pratap Vilas Palace -Jamnagar
Pratap Vilas Palace Jamnagar
Pratap Vilas Palace Jamnagar

જામ રાવળ ઈ.સ. ૧૫૪૦-૧૫૬૨
જામનગર ની રાજગાદી પર જામ રાવળે ૧૫૪૦-૧૫૬૨ એટલે કે ૨૨ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. યદુપ્રકાશ વંશ ના ગ્રંથ ની માહિતી મુજબ ૧૨૪ વર્ષ નું દીર્ઘાયુ ભોગવ્યું. જામ રાવળ ના ત્રણ પુત્રજેમાંથી પહેલા જીવોજી નું રોઝી માતા ના મંદિર પાસે ઘોડા પરથી પડી જતા અવસાન થયું તેમના બીજા પુત્ર વિભાજી ને જામનગર ની ગાદી અને ત્રીજા પુત્ર ભોરાજી ને જાંબુડા ની જાગીર સોપી.

જામ વિભોજી -૧ ઈ.સ. ૧૫૬૨-૧૫૬૯
જામનગર ની રાજગાદી પર જામ વિભોજીએ ૧૫૬૨-૧૫૬૯ એટલે કે ૭ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. જામ વિભોજી ને સતાજી (છત્રસાલ) ભાણજીરણમલજી અને વેરોજી એમ ચાર પુત્રો હતા. તેમાંપ્રથમ પુત્ર સતાજી ને જામનગર ની ગાદી આપી ભાણજી ને કાલાવડ ની જાગીર રણમલજી ને શીશાંગ ની જાગીર અને વેરોજી ને હડીયાણા ની જાગીર મળી.

જામ છત્રસાલ ( જામ સતાજી -૧ ) ઈ.સ. ૧૫૬૯-૧૬૦૮
જામનગર ની રાજગાદી પર જામ છત્રસાલ ૧૫૬૯ -૧૬૦૮ એટલે કે ૩૯ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. અમદાવાદ ના સુલતાન મુજફ્ફરશાહ બીજા સાથે મિત્રતા હોવા થી તેમણે જામ સતાજીને કોરી છાપવાની મંજૂરી આપી. શરત મુજબ કોરી પર મહેમુદી નામ છાપવું પરંતુ સતાજી એ શરત પાલન કર્યા વગર કોરી છાપી ચલણ માં મૂકી. અમદાવાદ ના સુબા એ જુનાગઢ પર આક્રમણ કરતા સતાજી એ જુનાગઢ ને મદદ કરી અમદાવાદ ના સુબા ને હાકી કાઢ્યો બદલા માં જુનાગઢ પાસે થી ચુડ જોધપુર અને ભોડ પરગણા મળ્યા. આ અરસામાં અમદાવાદ નો સુલતાન મુજફ્ફરશાહ ત્રીજો દિલ્હી ના મોગલ બાદશાહ ના ડર થી જામનગર તરફ આવ્યો અને સતાજીએ તેમેન બરડા ડુંગર પર આશરો આપ્યો. તેથી દિલ્હી ના બાદશાહ અકબર ના દુધભાઈ મિર્જા અજીજ કોકાએ સુબા ને સોપવા સતાજી ને જણાવ્યું સતાજી એ આ આજ્ઞાનો અનાદર કરતા તેમણે ઈ.સ. ૧૫૯૧ માં જામનગર પર ચડાઈ કરી ધ્રોલ અને જોડિયા વચ્ચે ના ભુચરમોરી ના મેદાન પર આ યુદ્ધ થયું જેમાં કુંવર અજોજી વીરગતી પામ્યા. જામનગર ના પરાજય પછી સાહી સેના જામનગર માં પ્રવેશી એ પહેલા જામ સતાજી બરડા ની ડુંગરમાળા માં જતા રહેલા. ઈ.સ ૧૫૯૩ માં સુલતાન સાથે થયેલા કરાર મુજબ ગાદી પાછી મેળવી. ઈ.સ. ૧૬૦૮ માં જામ સતાજી નું અવસાન થતા તેમના બીજા પુત્ર જસાજી ગાદી પર આવ્યા અને સૌથી નાના પુત્ર વિભાજી ને કાલાવડ પરગણું જાગીર માં મળ્યું. વિભાજીએ પાછળ થી સરધાર જીતી લઇ ને રાજકોટ વસાવી પોતાની અલગ ગાદી સ્થાપી.

૧૬૦૮-૧૬૨૪ જામ જસાજી -૧
જામનગર ની રાજગાદી પર જામ જશાજી -૧ ૧૬૦૮-૧૬૨૪ એટલે કે ૧૬ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. તેઓ કુશળ અને હિમતવાન રાજનીતિજ્ઞ હતા. તેઓ ના સમય દરમિયાન એક પણ યુધ્ય થયું ન હતું. તેઓ ના શાસનકાળ દરમિયાન શાંતિમય રાજયવ્યવસ્થા હતી. જામ જસાજી અપુત્ર હોવાથી તેના મોટા ભાઈ જામ અજોજી ના પુત્ર જામ લાખાજી-૧ જામનગરની ગાદી પર આવ્યા.


૧૬૨૪-૧૬૪૫ જામ લાખાજી -૧
જામનગર ની રાજગાદી પર જામ લાખાજી -૧ ૧૬૨૪-૧૬૪૫ એટલે કે ૨૧ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. જામનગર ની ગાદી પર આવતા જ તેમણે સૌપ્રથમ સેના ને મજબુત બનાવી. દિલ્હી ના સાશક ને તેમણે ખંડણી ની ચુકવણી બંદ કરી. તેના કારણે આઝમખાને શાહી સેના સાથે જામનગર પર આક્રમણ કર્યું પરંતુ તેમની સાથે જામ લાખાજી એ સંધી કરી અને કોરી છાપવાનું બંધ કર્યું અને જામનગર પર નું આક્રમણ ટાળ્યું.

૧૬૪૫-૧૬૬૧ જામ રણમલજી -૧
જામ લાખાજી નું અવસાન થતા જામ રણમલજી -૧ એ ગાદી સંભાળી. જામનગર ની રાજગાદી પર જામ રણમલજી -૧ ૧૬૪૫-૧૬૬૧ એટલે કે ૧૭ વર્ષ સુધી શાસન કર્યું. તેઓ વિલાસી જીવન ગાળતાં અને રંગરાગ માં રાત રેવાથી સતા નો દોર રાઠોડ રાણી અને રાણી નો ભાઈ ગોવર્ધનસિંહ ના હાથ માં ચાલ્યો ગયો. તેઓ નિ:શાંતન હોવા થી તેના પછી જામનગર ની ગાદી તેના ભાઈ રાયસિંહ ને ગાદી મળે તેમ ઠરાવેલું. પરંતુ રણમલજી ની રાણી એ તાજું જન્મેલું બાળક મેળવી તેમણે સતા મેળવવાના પ્રયત્નો કર્યા. પરંતુ ધ્રોલ ના ઠાકોર અને જમાદાર ગોપાલસિંહ ના પ્રયત્નો થી જામ રણમલસિહ ના ભાઈ જામ રાયસિંહજી ગાદી પર આવ્યા.

૧૬૬૧-૧૬૬૪ જામ રાયસિંહ -૧
જામનગર ની રાજગાદી પર જામ રાયસિંહજી -૧ ૧૬૬૧-૧૬૬૪ એટલે કે ૪ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી. જામ રાયસિંહજી ના શાસન દરમિયાન તેમના ભાઈ રણમલજી ની રાણી એ અમદાવાદ ના સુબા કુતુંબુદીન ને ફરિયાદ કરી તેથી કુતુંબુદીન ને જામનગર પર ચડાય કરવાનું બહાનું મળી ગયું. તેમણે ઈ.સ. ૧૬૬૪ માં જામનગર પર ચડાઈ કરી, ધ્રોલ અને જામનગર ની વચ્ચે આવેલા શેખપાટ ગામ પાસે મોટું યુદ્ધ લડાયું જેમાં ઘણા રાજપૂત યોદ્ધાઓ વીરગતી પામ્યા પરંતુ અંતે શાહી સેના ની જીત થતા તેમણે જામનગર માં લૂટ-ફાટ કરી મંદિરો નો નાશ કર્યો અને જામનગર નું રાજ ખાલસા કર્યું. શાહી વહીવટ માટે તેમણે મુસ્લિમ અમલદાર અને કાજી નીમ્યા.જામનગર નું નામ બદલી ઇસ્લામનગર કરમાવા માં આવ્યું.

૧૬૬૪-૧૬૭૩ મુસ્લિમ સાસન
જામનગર ની રાજ ગાદી પર ૧૬૬૪-૧૬૭૩ સુધી મુસ્લિમ શાસન ના કબજા હેઠળ રહી. આ દરમીયાન જામનગર ની વહીવટ અમદાવાદ ના મુસ્લિમ સુબા હેઠળ રહેલા સોરઠ ના ફોજદાર નું શાસન રહ્યું. આ અરાજકતા દરમિયાન જામ રાયસિંહજી -૧ ના બે પુત્રો તમાચી અને ફૂલોજી કચ્છ માં નાંશી છુટ્યા ત્યાર બાદ ગેરીલા હુમલા દ્વારા જામનગર ના ગામો ભાંગ્યા અને ઈ.સ. ૧૬૭૩ માં જામનગર ની ગાદી કબજે કરી ને જામ તમાચી -૧ એ જામનગર નો કાર્યભાર સંભાળ્યો.

૧૬૭૩-૧૬૯૦ જામ તમાચી -૧
જામનગર ની રાજગાદી પર જામ તમાચી -૧ ૧૬૭૩-૧૬૯૦ એટલે કે ૧૭ વર્ષ સુધી શાસન ની ધુરા સંભાળી આ સમય દરમિયાન તેમણે નકલી સતાજી ને તગડીયા અને મુસ્લિમ અમલદારો ને તંગ કર્યા તેથી જામ તમાચી તગડ તરીકે લોકો માં જાણીતા થયા.

૧૬૯૦-૧૭૦૯ જામ લાખાજી -૨
જામ તમાચી -૧ ઈ.સ. ૧૬૯૦ માં અવસાન પામતા જામ લાખાજી -૨ જામનગર ની રાજ ગાદી પર આવ્યા તેમણે ઈ.સ. ૧૬૯૦-૧૭૦૯ સુધી ૨૦ વર્ષ રાજ કર્યું. જામ લાખાજી ને સમય મહદઅંશે શાંતી નો સમય હતો તેમના સમયમાં કોઈ લડાઈ સંઘર્ષ થયા નથી તેમજ પ્રજાયે પણ પરમ સુખ શાતી ભોગવ્યા.

૧૭૦૯-૧૭૧૮ જામ રાયસિંહજી -૨
ઈ.સ. ૧૭૦૯ માં જામ લાખાજી નું અવસાન થતા જામ રાયસિંહજી -૨ જામનગર ની રાજગાદી પર આવ્યા તેઓ ભોગ વિલાસ માં રત રહેતા હોવાથી રાજ્ય નો ખજાનો ખાલી થઈ ગયો. આવા સંજોગો માં જામ રાયસિંહજી ના ભાઈ અને હડીયાણા ના જાગીરદાર જામ હરઘોળજી એ તેમની હત્યા કરી ને જામનગર નું શાસન પોતાના હસ્તગત લઇ લીધું. આ ગાદી નો ખરો વારસદાર હત્યા નો ભોગ બનનાર જામરાયસિંહ નો સગીરપુત્ર તમાચી હતો.

૧૭૧૮-૧૭૨૭ જામ હરઘોળજી
જામ હરઘોળજી એ જામનગર ની ગાદી પચાવી ૧૭૧૮-૧૭૨૭ સુધી કુલ ૯ વર્ષ શાસન કર્યું હતું . આ દરમીયાન રાયસિંહજી ના પુત્ર તમાચી કચ્છ માં તેમની માસી રતનબાઈ પાસે ઉછરી મુસ્લિમ સુબા ની મદદ થી ૧૭૨૭ માં પછી ગાદી મેળવી.

૧૭૪૮-૧૭૬૮ જામ લાખાજી -૩
જામ લાખાજી -૩ એ ૧૭૪૮-૧૭૬૮ સુધી એમ ૨૦ વર્ષ સુધી શાસન કર્યું. તેમના લગ્ન હળવદ ના કુંવરી દીપાજીબા સાથે થયા હતા. દીપાજીબા તેમની સાથે તેમના ત્રણ ખવાશ ભાઈઓ મેરામણ, નાનાજી અને ભવાન સાથે લાવ્યા હતા. લાખાજી -૩ ની:સંતાન હોવા થી તેમણે જશાજી -૨ અને સતાજી -૨ નામના પુત્રો દતક લીધા. તેમાંથી જસાજી – ૨ જામનગર ની ગાદી પર આવ્યા.

૧૭૬૮-૧૮૧૪ જામ જસાજી -૨
જામ જસાજી -૨ જામનગર ની ગાદી પર આવ્યા ત્યારે સગીર વય ના હતા તેથી મેરામણ ની સતા ખુબજ વધી ગઈ તેઓ માત્ર નામના રાજવી બની ગયા ખરી સતા તો મેરામણ પાસે હતી. આ દરમિયાન મેરામણ દ્વારા યુદ્ધો કરી ને જામનગર ની સતા માં વધારો કર્યો. મેરામણ દ્વારા જામ જસાજી -૨ ની માતા દીપાજી ની પણ હત્યા કરવામાં આવી. પોતાના માર્ગ નો આખરી કાટો દુર થઇ જતા મેરામણ જામનગર નો સર્વોપરી સરમુખત્યાર બની ગયો. ઈ.સ. ૧૮૯૫ માં મેરામણ ખાવસે દુષ્કાળ થી પીડાતા ઓખા પ્રદેશ પર ચડાઈ કરી ને જીતી લીધો ઈ.સ. ૧૮૦૦ માં અવસાન થયું ત્યાં સુધી મેરામણ ખવાશ નું રાજ્ય પ્રવેર્તેલું. અંગ્રેજ કર્નલ વોકેર નો પ્રવેશ ૧૮૦૭ માં ગાયકવાડ ની સેના સાથે જામનગર માં થયો હતો આમ જામ જસાજી -૨ ૧૭૬૮ થી ૧૮૧૪ ૪૬ વર્ષ રાજ કર્યું હતું. જામ જસાજી નું અવસાન થતા તેના ભાઈ જામ સતાજી -૨ જામનગર ની ગાદી પર આવ્યા.

૧૮૧૪-૧૮૨૦ જામ સતાજી -૨
જામ સતાજી -૨ એ ૧૮૧૪-૧૮૨૦ સુધી ૬ વર્ષ સુધી રાજ્ય કર્યું. જામ સતાજી ની:સંતાન હોવા થી તેમના ભાઈ જામ જસાજી ની રાણી અછોબા એ સડોદર ના જાડેજા જસાજી ના પુત્ર રણમલ ને દતક લીધા. ઈ.સ. ૧૮૨૦ માં જામ સતાજી નું અવસાન થતા જસાજી ના દતક પુત્ર રણમલજી -૨ ગાદી પર આવ્યા.

૧૮૨૦-૧૮૫૨ જામ રણમલજી -૨
જામ રણમલજી -૨ ૧૮૨૦-૧૮૫૨ એમ ૩૨ વર્ષ સુધી જામનગર ની ધુરા સંભાળી. ઈ.સ ૧૮૨૯ માં ભાવનગર ના રાજા વજેસંગ ની કુંવરી બાઈ રાજ બા સાથે લગ્ન કર્યા. ઈ.સ. ૧૮૩૪,૩૯,૪૬ માં એકધારા દુષ્કાળ માં પ્રજા ને રાહત આપવા માટે તેમણે લાખોટા તળાવ, ભુજ્યો કોઠો, રણમલ તળાવ, ચન્દ્રમહેલ જેવા મોટા બાંધકામો કરી લોકો ને રોજી આપી હતી. ઈ.સ. ૧૮૫૨ માં જામ રણમલ -૨ નું અવસાન થયું હતું તેમના ૬ પુત્રો તેમની હયાતી માજ આવસાન પામેલા તેથી તેમના સાતમાં પુત્ર વિભાજી ગાદી પર બેસ્યા.

૧૮૫૨-૧૮૯૫ જામ વિભોજી -૨
જામ વિભાજી -૨ ઈ.સ. ૧૮૫૨-૧૮૯૫ એમ ૪૩ વર્ષ સુધી જામનગર ની રાજગાદી સંભાળી તેઓ રંગીન તબિયત ના હતા તેમણે ૧૪ રાજપૂત રાણી, ૬ મુસ્લિમ અને ૫ તવાયફો એમ કુલ ૨૪ રાણીઓ હતી. તેઓ વધુ ભણેલ ન હતા પરંતુ કળા પારખું હતા, જામનગર નો વિવિધ ક્ષેત્રે વિકાસ તેમના સમય દરમિયાન થયો હતો. તેમના સમય ને સુવર્ણ યુગ ગણવામાં આવે છે.

૧૮૯૫-૧૯૦૩ અંગ્રેજ સાસન
ઈ.સ ૧૮૯૫ માં જામ વિભાજી નું અવસાન થતા રાજ્ય ની લગામ એડ્મીનીસ્ટ્રેટર તરીકે ડબલ્યુ.પી.કેનેડી એ ૩૧ મી જુલાય થી ૧૯૦૩ સુધી સંભાળી. આમ આ સમય દરમિયાન જામનગર અંગ્રેજ શાસન હેઠળ રહ્યું.

૧૯૦૩-૧૯૦૬ જામ જશવંતસિંહજી
ઈ.સ્. ૧૯૦૩ માં જામ વિભાજી ના જાનબાઈ નામની મુસ્લિમ રાણી થી થયેલ પુત્ર જશવંતસિંહજી એ ૧૯૦૩-૧૯૦૬ એમ ૪ વર્ષ જામનગર ની રાજગાદી સંભાળી.

૧૯૦૯-૧૯૩૩ જામ રણજીતસિંહજી
ઈ.સ. ૧૯૦૬ માં જશવંતસિંહજી નું અવસાન થતા તેના દતક પુત્ર રણજીતસિંહને ગાદી સોપી. તેમની ગણના વિશ્વ ના મહાન ક્રિકેટર માં થાય છે. તેમના યાદગીરી રૂપે આજે ભારત માં રણજી ટ્રોફી રમાય છે. જામ રણજીતસિંહ નો જન્મ ૧૦ મી નવેમ્બર ૧૮૭૨ માં થયો હતો. ૧૧ મી માર્ચ ૧૯૦૭ માં તેઓ જામનગર ની રાજગાદી પર આવ્યા. તેઓ નો પ્રાથમિક અભ્યાસ રાજકોટ ની રાજકુમાર કોલેજ થી શરુ થઈ વધુ અભ્યાસ માટે કેમ્બ્રિજ ની ટ્રીનીટી કોલેજ માં જોડાયા હતા. તેમણે ૧૯૧૬ માં દીવાન ને બદલે સેક્રેટરીએટ પદ્ધતિ દાખલ કરી. જામનગર થી દ્વારિકા સુધી ની રેલવે લાઈન નખાવી. ૧૯૨૦ માં મહારાજા રણજીતસિંહ લીગ ઓફ નેસન્સ માં ભારત ના પ્રતિનિધિ તરીકે નીમાયા હતા. જામ રણજી એ ૭૫ લાખ ના ખર્ચે બેડી બંદર નો વિકાસ કર્યો, ઈરવીન હોસ્પિટલ બંધાવી જે હાલ માં ગુરુ ગોવિંદસિંઘ તરીકે જાણીતી છે. જામ રણજી એ ૧૯૩૦ માં ગોળમેજી પરિષદમાં રાજાઓ ના પ્રતિનિધિ તરીકે ભાગ લીધેલો. ૨-૪-૧૯૩૩ માં જામ રણજી નું અવસાન થયું હતું તેમણે કુલ ૨૬ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું હતું. તેઓ જામનગર ના ઈતિહાસ ના એકમાત્ર અપરણિત રાજવી હતા.

૧૯૩૩-૧૯૪૭ જામ દિગ્વીજયસિંહજી
જામ રણજીતસિંહ અપરણિત હોવાથી તેમના ભાઈ જુવાનસિંહ ના પુત્ર દિગ્વિજયસિંહ ને દતક લીધેલા તેઓ જામ રણજી ના અવસાન પછી ગાદી પર બેઠા. તેમણે બ્રિટન માં અભ્યાસ કર્યો હતો. અને ઇન્ડિયન આર્મી માં લેફટનન્ટ નો હોદો ભોગવ્યો હતો. તેઓ ભારત ની આઝાદી સુધી જામનગર ના રાજવી રહ્યા હતા. દેશી રાજ્યો ના વિલીનીકરણ માં સરદાર પટેલ ને સાથ આપ્યો હતો.
દિગ્વિજયસિંહજી ના સમય માં રણજીતસાગર, સિક્કા સિમેન્ટ નું કારખાનુ, વુલન મિલ, દિગ્વિજય પોટરી અને ટીન ફેક્ટરી તથા દિગ્વિજય પ્લોટ તેમના સમય માં વિકસ્યા હતા. તેમણે ૧૯૩૩-૧૯૪૭ સુધી રાજ્ય કર્યું. ૧૯૪૭ માં રાજાશાહી નો અંત આવતા તેઓ નુતન સૌરાષ્ટ રાજ્ય ના રાજપ્રમુખ બન્યા હતા. રાજવંશી પરિવાર ના અંતિમ રાજવી દિગ્વિજયસિંહજી ના રાણી રાજમાતા ગુલાબકુંવરબા મુંબઈ માં રહેતા અને નિવૃત જીવન ગાળતાં. તેમની યાદ માં શૈક્ષણિક સંસ્થાઓ તથા પ્રજાલક્ષી ટ્રસ્ટો હાલ માં કાર્યરત છે.

હાલ જામ શત્રુશલ્યસિંહજી
દિગ્વિજયસિંહ ના પુત્ર કુમાર શત્રુશલ્યજી હાલ જામનગર માં વસે છે. દેશી રાજ્યો ના વિલીનીકરણ બાદ રાજાશાહી નો અંત આવ્યો હોવા છતાં પણ જામ શત્રુશલ્યસિંહજી એ જામનગર ના વિકાસ માં ખુબજ સારું પ્રદાન કર્યું છે હાલ માં પણ તેઓ લોકો ના પ્રશ્નો ને વાચા આપી ઘટતા કરવા પ્રયાસ કરી રહ્યા છે. કુદરતી કે કુત્રિમ આકસ્મિક ઘટનાઓ સમયે તેઓ પ્રજા ની સાથે રહી તન, મન અને ધનથી સેવા કરે છે. તેઓ પશુ-પક્ષી પાળે છે અને પોતાના શિકારપ્રિય પૂર્વજો કરતા જુદાજ સ્વભાવ ના અને જીવદયા પ્રેમી છે.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators