ઈતિહાસ ઉદારતાની વાતો શુરવીરો શૌર્ય કથાઓ

પ્રજા પ્રેમનું ઊછળતું ખમીર

Praja Premnu Uchaltu Khamir

ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું.

તેવાત તો વાયરે ઊડતી ઊડતી આવેલી, ન કોઈ એના ભીતરમાં ગયેલું કે ન કોઈએ એની સત્યતાની ચકાસણી કરી હતી ગમે તે રીતે એ વાત ભાડવા રિસાયતનાં ગામોમાં જાણે આંટો મારી રહી હતી!

રાજકોટથી અગ્નિ ખૂણામાં ચાલીસ જેટલા કિમીના અંતરે બેઠેલા ભાડવા ગામના દરબાર ચંદ્રસિંહજીના કાને વાત આવતાં તો એ આંચકો ખાઈ ગયા! એમની આંખોમાં ખનખન અંગારા ઝરવા લાગ્યા, કાયા માથેની રુવાંટી ઊભી થઈ ગઈ. રગેરગમાં ક્ષાત્રત્વનું રુધિર ઉછળી રહ્યું. તેમના આરાધ્ય ગુરુ રણછોડદાસજીના શબ્દો હૈયામાં રમી રહ્યા.’કર્મણ્યે વા ધિકારસ્તે’ ભલે જે થવાનું હોય તે થાય, કર્મ કરતા રહેવું. નિત્યક્રમ પૂરો કરી હજુ હમણાં જ રામાયણનું પઠન કરીને બેઠકે આવેલા. તેજસ્વી આંખો તણખા વેરવા લાગી. ખાખી બ્રીજીસ, ખાખી શર્ટ અને માથે હેટ ધારણ કરીને ફોજી ઓફિસરની જેમ બેઠા. ત્રણે ગામે ઘોડાને રમતાં કરી પચાસ જેટલાં પોતાના ભેરુઓને ભાડવાની બેઠકમાં નિમંત્રીને વચ્ચોવચ બેઠેલા એ ભડવીરે ભેરુઓ સામી દૃષ્ટિને ફરતી કરી.

ઊગમણા આભમાં હજુ રંગોળીના રંગો ભૂંસાયા ન હતા. રાત્રિની શીતળતાએ પૂરેપૂરી વિદાય લીધી ન હતી. તેવે ટાણે ભાડવા દરબારની બેઠક ગાજવા લાગી.


“બોલો ભેરુઓ શું કરીશું? વાવડ તો એવા આવ્યા છે કે એજન્સીના હુકમથી ગોંડલના અધિકારીઓ ભાડવાનો કબજો લેવા આવે છે.”

“બળથી બીવરાવીને આપણને બાપડા બનાવવા માગે છે? પૂછયાગાછયા વિના આટલી બધી જોહુકમી કાં કરે છે?” એક જુવાનનું લોહી ધસી આવતાં વાત કરી.

“ધણીનો કોઈ ધણી નથી! એ જાણે છે કે એમની પાસે સત્તાનું બળ અને સાધનો છે.” બીજાએ જાણે જવાબ દીધો.

“આપનો શું હુકમ છે?” ભાડવાના દરબાર ચંદ્રસિંહજી સામે નજર કરીને કાંડાબળિયા રાજપૂતે સીધો જ પ્રશ્ન કર્યો.

“હું તો એમ માનું છું કે જીવતાજીવત ભાડવાનાં પાદર અંગ્રેજો કહે તેમ સોંપવાં નહીં.”

“તો કેસરીયાં કરીએ.” મહાસત્તા સામે પચાસ જુવાનિયાઓ જાણે મોતને નિમંત્રણ આપી રહ્યાં ન હોય તેમ ઝઝૂમવા તૈયાર થયા. એમની આંખોમાં હિંગળોકીય રંગ પુરાયા. દરેકે સફેદ વસ્ત્રો ધારણ કર્યાં, કેસરિયાં છાંટણા છંટાયા. હાથમાં હથિયાર ધારણ કરીને રણમેદાનમાં ખપી જવા થનગની રહ્યા. ભાડવાના એ જવાંમર્દ ચંદ્રસિંહે સાત ભડાકાની નવ એમએમની માઉઝર બંદૂક હાથમાં લીધી. મહાસત્તાના મહાસાગર દ્વારા ઊછળતાં મોજાં સામે પોતાની પાસે જે કંઈ હથિયારો હતાં તે લઈને ભાડવાના પાદરમાં સાબદા બન્યા. માથે મોતનાં નગારાં વાગી રહ્યાં હતાં. એની એમને જાણ હોવા છતાં એનો ડર ન હતો.

બીના તો એવી બનેલી કે બ્રિટિશ હિંદના ગવર્નર જનરલ અને વાઈસરોયે એવા હુકમ છોડયા કે નાનાં રાજ્યોનાં કુંડાળાં બંધ કરીને એને મોટાં રાજ્યોમાં ભેળવી દેવાં. ઈ.સ.૧૯૪૩ના અરસામાં એનું જાહેરનામું બહાર પાડયું અને ભાડવા રિયાસતને ગોંડલ ભેગી ભેળવી દેવી તેવો નિર્ણય લેવાયો. પોતાની પ્રજાનો મત, વિચારો જાણ્યા વિના કે તેના રાજવીને પૂછગાછ વિના લેવાયેલા આ નિર્ણય સામે ચંદ્રસિંહજી ઉકળી ઊઠયા. તેમણે અંગ્રેજ સલ્તનતને સંભળાવ્યું કે, “મારી પ્રજાની મરજી વિરુદ્ધ આવો હુકમ કરવાના વાઈસરોયને અધિકાર નથી.” બળિયાં સામે બાથ ભરતો હુંકાર સાંભળતાં અંગ્રેજ સત્તાધીશો રાતાપીળા થઈ ગયા. આવા ભભકી ઊઠેલા મામલામાં ઉપર પ્રમાણે સમાચાર આવેલા અને જવાંમર્દ જુવાનિયાઓ ભાડવા દરબારની રણહાકે મોતને મુઠ્ઠીમાં લઈને ઝઝૂમવા થનગની રહ્યા હતા પરંતુ જે વાવડ આવેલા તે પ્રમાણે કોઈએ તે’દી ભાડવામાં પગ દીધો નહીં.

તે પછી ભાડવા દરબારે વાઈસરોયના હુકમને ન્યાયિક રીતે પડકારવા કમર કસી. તાલુકદારી સંગઠન સ્થાપ્યું. ભાડવા તાલુકામાં જ આપઘાતનો એક કિસ્સો બન્યો “કેસ ક્યાં ચાલે?” નો ન્યાયિક પ્રશ્ન ઊભો થયો. તેમણે એની આગેવાની લીધી, ઓલ્યા જાહેરનામાને પડકાર્યું કે બ્રિટિશ રાજ્યને અગર એજન્સીને ભાડવા રાજ્યને ગોંડલ રાજ્ય સાથે જોડવા કોઈ હકૂમત નથી. ગોંડલ રાજ્યની હકૂમતને પડકારતી રિવિઝન અરજી એજન્સીના જ્યુડિશિયલ કમિશનર સમક્ષ નોંધાવી. જ્યુડિશિયલ કમિશનરે આ માટે દિલ્હી લખીને “ખાસ ટ્રિબ્યુનલ” ની રચના કરાવી. અંગ્રેજ ન્યાયાધીશે કેસ સાંભળ્યો. નિર્ણય આવ્યો કે, “નાના તાલુકા અગર રાજ્યને બીજાં રાજ્યો સાથે જોડવાનો વાઈસરોયને અધિકાર નથી.” ભાડવા દરબારનો વિજય થયો. અજમેર મુકામે આવેલા આ ચુકાદાએ ભારતભરનાં રજવાડાંમાં એક નવી હવા ફેલાવી તેના લીધે ત્રણ ગામની રિયાસતના ભાડવા દરબારનું નામ છેક બ્રિટન સુધી પહોંચી ગયું. આ ચુકાદો ‘અજમેર ચુકાદા’ તરીકે ઈ.સ.૧૯૪૫માં પ્રસિદ્ધ થયેલો.

ભાડવાના દરબારનો વિજય તો થયો પણ થોડાક જ સમયમાં બ્રિટિશ પાર્લમેન્ટે આ જોડાણ યોજનાને કાયદાનું સ્વરૂપ આપી દીધું. આ દરમિયાન દેશમાં છેલ્લા તબક્કાના આઝાદીનાં રણશીંગાં ફૂંકાઈ રહ્યાં હતાં.

ચંદ્રસિંહ અણનમ રહ્યા. ભાડવા ઉપર તા.૨૩-૫-૪૬થી ગોંડલની જપ્તી બેસાડી વહીવટદાર નીમાયા, પરંતુ પંદરમી ઓગસ્ટ ૧૯૪૭ના એ ભડવીરે રાષ્ટ્રને અખંડ રાખવા હિંદસંઘમાં ભળી જવા ખબર દઈ દીધા. અલગ ચોકો કરીને ‘રાજવી સ્થાન’ બનાવવાના વિચારોને ચંદ્રસિંહે જાકારો દીધો. જીવ્યા ત્યાં સુધી રાષ્ટ્રીય ખમીરનું લોહી એમની રગોમાં ધબકતું રહ્યું. જૂનાગઢના નવાબ સામેની આરઝી હકૂમતની લડતમાં નવાનગરનો કિલ્લો સર કરવામાં એમનાં તેજ ઝળકી ઊઠેલાં.

પ્રજા પ્રેમનું ઊછળતું ખમીર (વસુંધરાનાં વહેતાં વહેણ)
વસુંધરા – શિવદાન ગઢવી

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators