જાણવા જેવું

બાજરી મહિમા

Kathiyawadi Bajra na Rotla ane Ringnano oro

Kathiyawadi Bajra na Rotla ane Ringnano oroબાજરો ગઈકાલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબના અમુક ભાગ તેમજ પૂર્વ ભારતનું ધાન્ય હતું. જોકે બાજરો આજે પણ સૌરાષ્ટ્રનાં ૮૦ ટકા ઘરોમાં ખવાય છે. પ૦ ટકા ઘરોમાં નિયમિત ખવાય છે. બાજરાને સંસ્કૃતમાં વર્જા‍રી કહે છે. ઉર્દૂમાં ફારી, હિ‌ન્દીમાં બાજરા, તામિલમાં કુમ્બુ, તેલુગુમાં સજ્જા અને અંગ્રેજીમાં પર્લમિલેટ કહે છે. જોકે જ્યારે અંગ્રેજી મિલેટ કહે ત્યારે તેમાં બાજરો, જુવાર અને રાગી પણ આવી જાય છે. જો જુવારનું સૌથી વધુ બહુમાન કર્યું હોય તો મહારાષ્ટ્રીયનોએ અને શિવસૈનિકોએ કર્યું હતું. મુંબઈ અને મહારાષ્ટ્રના શહેરમાં ‘ઝુણકા ભાખર’ની સાવ સસ્તામાં મળતી જુવારની રોટી અને શાક શેરીએ શેરીએ મળતું પણ આજે મહારાષ્ટ્ર પણ ઝુણકા ભાખર ભૂલતું જાય છે.

આપણા દેશના જ નહીં પરદેશના લોકોએ બાજરાને ખૂબ અન્યાય કર્યો છે. અમેરિકનો આફ્રિકા ગયા અને ત્યાં બાજરાનો સ્વાદ ચાખી આવ્યા અને તેના ઔષધિય ગુણો જાણ્યા ત્યારે તે લોકોને બાજરાના ગુણ સમજાયા. જેને આહારશાસ્ત્રના પિતામહ ગણાય છે તે પાયથાગોરસે બાજરાનાં પોષણતત્ત્વોની ૨પ૦૦ વર્ષ પહેલાં ભારે પ્રશંસા કરેલી. લોસ એન્જલસ શહેરના એક સેનેટોરિયમમાં દરદીને પેશાબમાં ખૂબ દર્દ હતું. આખરે ઘઉં બંધ કરીને બાજરીની બ્રેડ (રોટલા) ખવડાવાયી તેથી તેનું પેશાબનું દર્દ ચાલ્યું ગયું ગોંડલના મહારાજા બાજરાનો રોટલો ખાતા અને તે પણ ગોંડલ સ્ટેટનો બાજરો જ ખાતા.

અમેરિકાના એક એનિમલ ફાર્મમાં દૂઝણા ઢોરને સતત મકાઈ અને ઘઉંનું ખાણ ખવડાવતા હતા. તેથી ઢોર બીમાર પડયાં એટલે અમેરિકાની યેલ યુનિ.ના પ્રોફેસરોએ પ્રયોગ કરીને બાજરાને ભરડીને તેનું ખાણ આપવા માંડયું. તેનાથી ગાયો સાજી થઈ ગઈ એટલું જ નહીં પણ વધુ દૂધ આપવા માંડી. ત્યારે અમેરિકાના ફિલસૂફ એસ્કિ ફ્રોઝે કહ્યું કે ફિલસૂફી સાથે બાજરાનો રોટલો ખાઓ તો જલદી જ્ઞાન આવે. બાજરામાં તમામ વિટામિનો, ખનિજો અને પૌષ્ટિક એમિનો એસિડ છે. આયુર્વેદમાં તેને કાંતિ આપનાર બલવર્ધક અને સ્ત્રીઓની કામશક્તિને વધારનાર ગણાય છે.

એવી વાનગીથી મેઘરાજાનું સ્વાગત કરાતું અને વર્ષાને પણ ઊના ઊના રોટલાની લાલચ અપાતી. સૌરાષ્ટ્રમાં અમુક ખેડૂતો બાજરાના જ સ્પેશિયલિસ્ટ હતા. તે પછીથી બાજરિયા અટક ધરાવનારા લેઉવા પટેલ થઈ ગયા.


કચ્છમાં બાજરાના રોટલા ખાવાની મજા છે. બાજરા વિશે એક કચ્છની લોકકથા છે. કચ્છના લાખા ફુલાણીનું લશ્કર અંધારામાં કોઈ પ્રદેશમાં આવી ચઢયું ત્યારે અંધારામાં કોઈ ગામ દેખાયું નહીં. ભૂલું પડેલું લશ્કર આફતમાં આવ્યું. ઘોડા સાથે માણસ પણ કોણ જાણે મરવા માંડયા. એ સમયે ત્યાં બાજરો ઊગેલો જોયો. હજી એ જમાનામાં બાજરાને કોઈ ઓળખતું નહીં. બાજરો એટલો ‘ગરીબડો’ અને સરળતાવાળો છે કે તેને કોઈ જ ખાતર કે લાડકોડ જોતાં નથી. ખેતરમાંય પાકે છે અને ખેતરની બાજરી વધુ વિટામિનવાળી અને ઔષધિય હોય છે. લાખા ફુલાણીનું લશ્કર બાજરાને ઓળખતું નહોતું પણ પછી ડરતા આ બાજરો ખાધો અને બધામાં અદભૂત બળ આવ્યું અને પછી ઠંડા પ્રદેશમાંથી એ બાજરાનું બિયારણ લેતા આવ્યા.રજપૂતોએ બાજરો ખાઈને બાવડાનું બળ વધાર્યું.

શરૂમાં બાજરાનું નામ પડયું નહોતું પણ રજપૂતોએ બાજરો ખાધા ભેગો પચી ગયો અને તુરંત ભૂખ લાગી એટલે શરૂમાં તેનું નામ ‘જ્યોં બા જ્યોં’ એટલે જેવો પેટમાં ગયો એટલે પચ્યો-તેવું નામ રાખ્યું તે ઉપરથી આખરે બાજરો નામ પડયું. પછી ગાંધીજીના આશ્રમમાં એટલે જ કહેવાતું કે ભાઈ બાજરા જેવો સીધો-સરળ થા કોઈને ભારે ન પડ. બાજરા માટે કેટલીય કહેવત હતી. બાજરામાં જીવાત ન પડે અને લાંબો ટકે એટલે તેને ચૂલાની છાણાની રાખ લગાવવામાં આવતી તેથી બાજરો ટકતો તે પરથી બાજરાની કહેવત પડી કે :બાજરો રાખથી સારો રહીને ટકે અને બાવો ભભૂત લગાવવાથી શોભે છાણાની રાખને પણ બાજરો આભૂષણ માને છે. રક્ષક તો ખરી જ. ઈમ્પોટન્સી-નપુંસકતા માટે મૈસુરની ઈન્ડો-અમેરિકન હોસ્પિટલના દરદીને બાજરાના રોટલા ખવડાવાતા.

ઘણા લોકો બાજરાને ‘ગરમ’ ગણે છે. હું કર્ણાટક અને આંધ્રમાં ગયો ત્યાં મેં જોયું કે ત્યાંના વૈદ્યો જેને બ્લીડિંગ પાઈલ્સ-દૂઝતા હરસ થતા તેને બાજરો ખવડાવતા, શરત એટલી કે સાથે ગાયનું ઘી ખવડાવવું. લોસ એન્જલસની પેટના રોગોની અમુક હોસ્પિટલમાં જે દરદીને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે તેવા એસિડિટીવાળાને બાજરાના રોટલા ખવડાવે છે. તમે બાજરો ખાઈ જજો. ઘઉંની રોટલી કે ઘઉંની વાનગી તમને ઢીલો મળ અને વાસ મારતો મળ પેદા કરે છે. બાજરાના રોટલાથી બંધાયેલો અને બહુધા વાસ વગરનો મળ આવે છે. બાજરાના રોટલા ખાનારા સૌરાષ્ટ્રના કવિઓ વધુ ધારદાર અને ગરમાટો લાવનારી કવિતા કે લોકગીત લખી શકે છે.

ખરેખર તો બાજરના રોટલાને ઘી ચોપડવાની પણ જરૂર નથી. બાજરામાં કુદરતી ચરબી છે એટલે ઘી વગર ખાઈ શકાય છે. જો તમારે પ્રમાણભૂત રીતે બાજરાની ઘઉં કરતાં સરસાઈ જાણવી હોય તો ૧૦૦ ગ્રામ બાજરામાં સાડા ચાર ગ્રામ કુદરતી ચરબી રહેલી છે ત્યારે ઘઉંમાં માત્ર સવા ગ્રામ જેટલી જ ચરબી છે. ઘઉંમાં આને કારણે તેની ભાખરી, રોટલી કે થેપલાંના મોણમાં ખૂબ તેલ વાપરવું પડે છે પણ બાજરાના રોટલામાં નહીં. ઘઉં ખોટા લાડ કરે છે. બાજરો પેટને સૌથી વધુ પ્રેમ કરે છે. સૌરાષ્ટ્રમાં હૃદયરોગને કોઈ જાણતું નહીં કારણ કે ત્યાં બાજરો ખવાતો, સાથે લસણની ચટણી ખવાતી. લસણમાં કેલ્શિયમ ફોસ્ફરસ, લોહ, વિટામિન ‘સી’ અને બીજાં પાચક દ્રવ્યો છે.

લસણમાં પેનિસિલીનના ૧પ યુનિટ જેટલું જંતુનાશક તત્ત્વ છે એટલે લસણની ચટણીમાં તૈલી તત્ત્વો છે તે શરીરમાં જઈને લોહીને સાફ કરે છે. ફેફસાંને મજબૂત કરે છે. શિયાળામાં લસણ થકી તમને ગરમી મળે છે અને ઉનાળામાં તમારા શરીરમાંથી પરસેવો કાઢીને તમને ઠંડા રાખે છે. આ દૃષ્ટિએ સૌરાષ્ટ્રમાં બહુ જ ઓછી બીમારી, બહુ જ ઓછા ડોક્ટરો, નામની જ હોસ્પિટલો હતી. સ્વિત્ઝરલેન્ડના એક ડોક્ટર બર્ચર બેનર સૌરાષ્ટ્ર અને રાજસ્થાન આવ્યા. અહીં તેમણે જોયું કે કોઈને લોહીના પરિભ્રમણ કે કોલેસ્ટેરોલની સમસ્યા નહોતી. તેમણે પછી સ્વિત્ઝરલેન્ડમાં બાજરા-લસણ થેરપી શરૂ કરેલી.

ઉરુલીકાંચનમાં બાલકોબા ભાવે (વિનોબા ભાવેના નાના ભાઈ) મુખ્ય સંચાલક તરીકે હતા તેમણે ટીબીનો રોગ બાજરાનો રોટલો અને લસણ થેરપીથી મટાડેલો. આજે ભારતમાં ૯૪.૩ લાખ હેક્ટરમાં બાજરાની ખેતી થાય છે તે ખેતી વધુ થાય એટલે કે બાજરાના ગુણો જાણી વધુ બાજરો ખવાય તો જમીનની પૌષ્ટિકતા જળવાશે અને વિલાયતી ખાતરથી જમીન નહીં બગડે. શોષક લોકો બીજાનો કસ કાઢે છે. બાજરો પોતાનો કસ કાઢી જમીન પાસેથી કાંઈ લેતો નથી. જમીનને ગરીબ કહતો નથી.’

સૌજન્ય: બ્લોગ “દાદીમા ની પોટલી”

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators