ઈતિહાસ શૌર્ય કથાઓ

ભીમો ગરાણીયો -શૌર્ય કથા

Aahirs of Saurashtra
આહિરનો આસરો

મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં , તે દિવસથી આજ સુધી આહીરોના દીકરા છાબડે – જો એ છાબડું સતનું હોય તો – મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂળીયું વરણ ; ઘોડે ચડીને ફોજ ભેળો હાલે કે ન હાલે , પણ આયરનો દીકરો ગામને ટીંબે ઊભો રહીને ખરેખર રુડો દેખાય . એવોજ રુડો દેખાણો હતો એક ગરાણીયો ; આજથી દોઢસો વરસ ઉપર સાતપડા ગામને ટીંબે , સાતપડાને ચોરે મહેતા-મસુદી અને પગી પસાયતા મૂંઝાઇને બેઠા છે. શું કરવુ એની ગમ પડતી નથી .

પાલીતાણાના દરબાર પ્રતાપસંગજી આજ પોતાના નવા ગામનાંતોરણ બાંધવા આવ્યા છે. ઍટલે ના પણ કેમ પડાય?

“બીજું કાંઈ નહીં,” ઍક આદમી બોલ્યો :” પણ નોખાં નોખાં બે રજવાડાંનાં ગામ અડોઅડ ક્યાંય ભાળ્યાં છે? નત્યનો કિજયો ઘરમાં ગરશે. “

” પણ બીજો ઉપાય શો ! ઍના બાપની જમીન આપણા ગઢના પાયા સુધી પોગે છે ઍની કાંઈ ના પડાય છે? ” બીજાઍ વાંધો બતાવ્યો..


“અરે બાપુકી શું, સાત પેઢીની જૂની જમીન હોય તોય મેલી દેવી જોઈઍ ; ગામ ગામ વચ્ચેના સંપ સાટુ શું પાલીતાણાનો ધણી આટલો લોભ નિહ છોડે?”

“હા જ તો! હજી કાલ સવારની જ વાત ; સધરા જેસંગની મા મીણલદી મલાવ સરોવર ખાંડું થાતું`તું તોય વેશ્યાનું ખોરડું નહોતું પાડ્યું.”

“અને આપણે ક્યાં જમીનના બટકાં ભરવા છે ? ફક્ત ગોંદરા-વા જમીન મેલી દીયે . એટલે બેય ગામ વચ્ચે ગોંદરો કરશું . બિચારા પશુડાં પોરો ખાશે , વટેમાર્ગુ વિસામો લેશે અને વળી કજિયો-કંકાસ નહિ થાય.”

“પણ ઇ સાવજને કોણ કેવા જાય કે તારું મોઢું ગંધાય છે ?”

“મે’તો જાય , બીજું કોણ ?”

લમણે આંગળી મૂકીને બેઠેલા વહીવટદારને શરીરે પરસેવો વળી ગયો . એણે જવાબ દીધો કે “એ મારું કામ નહિ , ભાઇ ! તમે સહુ પસાયતાઓ જઇને મારા નામે દરબારને સમજાવો .” “તો ભલે , હાલો ! ” કહેતા પસાયતા ઊભા થયા ; પાદર જાય ત્યાં પ્રતાપસંગજી ઢોલિયો ઢળાવીને બેઠેલા….. પાલીતાણાનું ખોરડું ગાંડું કહેવાય છે , તેનું સાક્ષાત્ પ્રમાણ દેતી એની વિકરાળ મુખાકૃતિની સામે કોઇ હાલીમવાલી તો મીટ માંડી શકે નહીં એવો તાપ ઝરે છે. બેઠા બેઠા દરબાર જરીફોને હાકલ કરે છે , “હાં ! ભરતર કરીને નાખો ખૂંટ . અને પછી પાયો દોરી લ્યો ઝટ .”

“બાપુ , રામ રામ ! ” કહીને નીચા વળી સલામ કરતા પસાયતા ઊભા રહ્યા .

“કેમ શું છે ?” પ્રતાપસંગજીએ તોરમાં પૂછ્યું .

“બાપ , વહીવટદારે કહેવરાવેલું છે કે જમીન તમારી સાચી , પણ નત્યનો કજિયો નો થાય માટે ગોંદરા-વા જમીન મેલી……”

“મેલી દઉં , એમ ને ?” પ્રતાપસંગજીનો પિત્તો ફાટી ગયો , “લીલાંછમ માથાંના ખાતર ભર્યા છે , એ જમીન મેલી દઉં , ખરું કે ? જમીનનાં મૂલ ઇ શું જાણે ? જાઓ ઘરભેળા થઇ જાઓ . કહેજો એને કે સીમાળે સરપ ચિરાણો’તો , કાછડા ! “

ઝાંખાઝપટ મોં લઇ પસાયતાપાછા ફર્યા . ચોરે જઇ વહીવટદારને વાત કરી . બધા ચોરે સૂનસાન થઇને બેઠા . ભાવનગર આઘું રહી ગયું , એટલે ત્યાં સમાચાર પહોંચતા પહેલાં તો પ્રતાપસંગજી પાયા રોપી દેશે . સહુના શ્વાસ ઊંચા ચડી ગયાં છે .

“પણ તમે આટલા બધા કાંપો છો સીદને ? પ્રતાપસંગજી શું સાવઝ – દીપડો છે ? માણસ જેવું માણસ છે . આપણે જઇને ઊભા રહીએ , ફરી સમજાવીએ , ન માને તો પાણીના કળશો ભરીને આડા ઊભા રહીએ . આમ રોયે શું વળશે ?’

સહુની નજર આ વેણ બોલનાર માથે ઠેરાઇ . આછા-પાંખા કાતરા ; એકવડિયું ડિલ , ફાટલતૂટલ લૂગડાં , ખભે ચોફાળનું ઓસાડિયું નાકેલું , કાખમાં તરવાર હાથમાં હોકો , ચોરાની પડસાળની કોરે સહુથી આઘેરો એ આદમી બેઠો છે .

“ત્યારે , ભીમા ગરણિયા ,” માણસોએ કહ્યું ; “તમે અમારી હારે આવશો ?

“ભલે , એમાં શું ? તમે કહેતા હો તો હું બોલું .”

“જે ઠાકર” કરીને સહુ ઊપડ્યા . મોખરે ભીમો ગરણિયો હાલ્યો . સડેડાટ ધીરે પગલે સીધો પહોંચ્યો , પ્રતાપસંગજીને ગોઠણે હાથ નમાવી બાલ્યો , “બાપુ , રામ રામ !”

“રામ રામ ! કોણ છો ?” દરબાર આ આયરના વહરા વેશ જોઇ રહ્યા , મોં આડો રૂમાલ રાખીને હસવું ખાલ્યું ,

“છઉં તો આયર .”

“ખાખરો રૂંઢ ને આયર મૂંઢ !” દરબારે મશ્કરી કરી ; ” બોલો આયરભાઇ , શો હુકમ છે ?”

“બાપુ , હુકમ અમારા ગરીબના તે શીયા હોય ! હું તો આપને વીનવવા આવ્યો છું કે ગોંદરા-વા મારગ છોડીને ગામનો પાયો નખાય તો સહુના પ્રભુ રાજી રે !”

“આયરભાઇ !” પ્રતાપસંગજીનું તાળવું તૂટું તૂટું થૈ રહ્યું , “તમે ભાવનગરના કારભારી લાગો છો !”

“ના , બાપ ! હું તો પસાયતોય નથી ,”

“ત્યારે ?”

“હું તો મુસાફર છું . અસૂર થયું છે ને રાત રિયો છું .”

“તો આબરૂ સોતા પાછા ફરી જાવ !”

“આમારે આયરને આબરૂ શી , બાપ ? હું તો એમ કહું છું કે ભાવનગર અને પાલીતાણું બેય એક છોડવાની બે ડાળ્યુ ; એકજ ખોરડું કહેવાય , ગંગાજલિયું ગોહિલ કુળ બેયનું એક જ , અને એક બાપના બેય દીકરા આવી માલ વગરની વાતમાં બાધી પડે એવું કજિયાનું ઝાડ કાં વાવો ? “

“હવે ભાઇ , રસ્તો લે ને ! ભલે ભાવનગરનો ધણી મને ફાંસીએ લટકાવે “

“અરે બાપ !”જેમ જેમ ઠાકોર તપતા જાય છે તેમ તેમ ગરણિયો ટાઢો રહીને ડામ દેતો જાય છે “શેત્રુંજાના બાદશાહ ! એમ ન હોય . હેડાહેડાનિયું આટકે ત્યારે અગ્નિ ઝરે ; વજ્જરે વજ્જર ભટકાય તે વખતે પછી દાવાનળ ઉપડે . “

“આયરડા !” પ્રતાપસંગની આંખમાંથી તણખા ઝર્યા .

“બાપુ , તમારે આવું તોછડું પેટ ન જોવે , અને ભાવનગર-પાલીતાણા બાખડે -”

“તે ટાણે તને વષ્ટિ કરવા બોલાવશું “

“એ ટાણે તેડાવ્યાનું વેળુ નહિ રહે . ભેંસ્યું જે ઘડીએ માંદણામાં પડે તે ઘડીએ ડેડકાં બિચારા ઓવાળે ચડે , બાપુ ! ઇ ટાણે વષ્ટિનો વખત ન રહે .પછી તો જેના ઘરમાથી ઝાઝાં નળિયા -”

“તો પછી તું અમારાં નળિયાં ઉતરાવી લેજે .”

“હું તો અસૂર થયું છે તે રાત રિયો છું . પણ ,બાપુ , રે’વા દ્યો .”

“નીકર ! તું શું બંધ કરાવીશ ?”

“ઇ યે થાય !”

“એ – મ !” પ્રતાપસંગજીએ જરીફોને હાકલ દીધી , “નાખો ખૂંટ ,ગધેડીઓ ખોદો , આયરડો આવ્યો બંધ કરાવવા !”

ઠાકોરની હાકલ સાંભળીને જરીફો ડગલું માંડે તે પહેલાં તો ભીમાના મ્યાનમાંથી તરવાર ખેંચાણી . ઉઘાડી તરવાર લઇને ભીમો આડો ઊભો અને જરીફોને કહ્યું , “જોજો હોં , ટોચો પડ્યો કે કાંડાં ખડ્યાં સમજજો !”

ઘડી પહેલાંનો પામર આદમી ઘડી એકમાં બદલાયો ને બદલાતાં તો તાડ જેવડો થયો . જરીફોના પગ જાણે ઝલાઇ ગયા ,

ઠાકોરની આંખમાં પોતાની નજર પરોવીને પડકાર્યું , “ત્યાં જ બેઠા રે જો , દરબાર ! નીકર ઓખાત બગડી જશે . હું તો આયરડો છું . મરીશ તો ચપટી ધૂળ ભીંજાશે . પણ જો તમારા ગળાને એક કાળકા લબરકો લેશે ને , તો લાખ ત્રાંસળીયુ ખડખડી પડશે . શેત્રુંજાના ધણી ! આ સગી નહિ થાય “

પ્રતાપસંગજીએ આજ જીવતરમાં પહેલી જ વાર સાચા રંગમાં આવેલા પુરુષને દીઠો . સોળ કળાના હતા , પણ એક કળાના થઇ ગયા . આંખોની પાંપણો ધરતી ખોતરવા મંડી .

ત્યાં તો ફરી વાર ભીમો બોલ્યો , “અમારું માથું તો ઘરધણી માણસનું , દરબાર ! ચાળીને બોકડો મર્યો તોય શું ? પણ સંભાળજો . હાલ્યા છો કે હમણાં ઉતારી લઇશ માથું .”

ભૂવો ધૂણતો હોય એમ ભીમાનું ડીલ ધ્રુજી ઊઠ્યું . માણસોએ ભીમાને ઝાલી લીધો . પ્રતાપસંગજી ઊઠીને હાલી નીકળ્યા , બીજે દિવસે ભળકડે ઊઠીને પાલીતાણે પહોચી ગયા .

આ બાજુથી સાતપડાના વહીવટદારે મહારાજ વજેસંગને માથે કાગળ લખ્યો કે આવી રીતે ભીમા ગરણિયા નામના એક આયરે ભાવનગરની આબરૂ રાખી છે . એવી તમામ વિગતવાળો કાગળિયો બીડીને એક અસવારને બીડા સાથે ભાવનગર તરફ વહેતો કરી દીધો અને ગામડે ગામડે ભીમા ગરણિયાની કીર્તિનો ડંકો વાગ્યો .

“દરબાર કેમ દેખાતા નથી ?”

“મામા , એ તો ત્રણ દીથી મેડી માથે જ બેઠા છે , બા’રા નીકળતા જ નથી .”

“માંદા છે ?”

“ના , મામા , કાયા તો રાતીરાણ્ય જેવી છે .”

“ત્યારે ?”

“ઇ તો રામધણી જાણે . પણ સાતપડેથી આવ્યા તે દીથી તેલમાં માખી બૂડી છે . વાતું થાય છે કે કોઇક આયરે બાપુને ભોંઠામણ દીધું .”

“ઠીક , ખબર આપો દરબારને , મારે મળવું છે .”

એનું નામ હતું વાળા શામળો ભા . દાઠા તરફના એ દરબાર હતા .પાલીતાણા ઠાકોર પ્રતાપસંગજીના એ સાળા થતા હતાં . એના ભુજબળની ખ્યાતિ આખી સરવૈયાવાડમાં પથરાઇ ગઇ હતી . મેડી ઉપર જઇને એણે દરબારને હિંમત દીધી , “શેત્રુંજાના ધણી કચારીએ કસુંબા પીવા ન આવે એ રૂડું ન દેખાય , દરબાર ! અને , એમાં ભોંઠામણ શું છે ?”

“પણ , વાળા ઠાકોર , માળો એક આયર નરપલાઇ કરી ગયો !”

“અરે , સાંજે એના કાતર્યામાં ધૂળ ભરશું , આયરડું શું—”

“રંગ , વાળા ઠાકોર !” કહેતાં દરબારને સ્ફૂર્તિ આવી .

પણ તરત પાછો ગરણિયો નજરે તરવા માંડયો , અને બોલ્યા , “પણ વાળા ઠાકોર ! સાતપડે જાવા જેવું નથી , હો ! આયર બડો કોબાડ માણસ છે , બહુ વસમો છે .”

“હવે દોઠા જેટલો છે ને ?”

“અરે , રંગ ! વાળા ઠાકોર ! પણ વાળા ઠાકોર , ઇ તરવાર લ્યે છે ત્યારે તાડ જેવો લાગે છે હોં ! જાળવો તો ઠીક “

તાડ જેવડો છે કે કાંઇ નાનોમોટો , એ હું હમણા માપી આવું છું . દરબાર , તમતમારે લહેરથી કસુંબો પીઓ , બાકી એમ રોયે રાજ નહિ થાય .”

દોઢસો અસવારે શામળો ભા સાતપડાને માથે ચડ્યા . ઢોર વાંભવાની વેળા થઇ ત્યારે સીમમાં આવી ઊભા રહ્યા .

ગોવાળને હાકલ દીધી , “એલા ! આયડું ! ક્યા ગામનો માલ છે ?”

“બાપુ , સાતપડાનો “

“હાંક્ય મોઢા આગળ , નીકર ભાલે પરોવી લઉં છું “

“એ હાંકું છું ,બાપા ! હું તો તમારો વાછરવેલિયો કે’વાઉં “એમ કહીને ગોવાળે ગાયો ભેંસો ઘોળીને પાલીતાણાને માર્ગે ચડાવી . મોખરે માલ ને વાંસે શામળા ભાની સેના .

ધ્રસાંગ ! ધ્રસાંગ ! ધ્રસાંગ ! સાતપડે ઢોલ થયો . પાલીતાણાની વાર સાતપડાનાં ધણ તગડી જાય છે , એમ વાવડ પહોંચ્યા , પણ આયરો બધા જોઇ રહ્યા કે દોઢસો અસવાર ભાલે આભ ઉપાડતા , તરવારો બાંધીને હાલ્યા જાય છે . એને જેતાશે શી રીતે ! સહુનાં મોં ઝાંખાંઝપટ થઇ ગયાં .

ત્યાં તો ભીમાની ઘરવાળી આયરાણી બહાર નીકળી . ચોરે જઇને છૂટે ચોટલે એણે ચસકો કર્યો , “અરે આયરુ ! એ પસાયતાઓ ! કોઇ વાસ નહિ રાખે હો ! અને આજ ગરાણિયો ગામતરે ગયો છે તે ટાણે ભૂંડા દેખાવું છે ?”

એમ વાત થાય છે ત્યાં તો ભીમો ગરાણિયો ગામતરેથી હાલ્યો આવતો દેખાણો .

ઝાંપામાં આવતાં જ એણે પૂછ્યું “શો ગોકીરો છે , ભાઇ ?”

“ભીમભાઇ , દુશ્મનો ફેરો કરી ગયા .”

“કોણ ?”

“પાલીતાણાના દરબારનો સાળો .”

સાંભળતાં જ ભીમાનાં રૂંવાડાં અવળાં થઇ ગયાં . હાકલ કરી કે “એલા આયરો , ઊભા થાઓ , નીકર કોઇ વાસ નહિ રાખે “

“અને આયરાણી ! મારી સાંગ લાવ્ય .”

પાણીની તરસે ગળે કાંચકી બાઝી ગઇ હતી . પણ ભીમે પાણી ન માગ્યું , સાંગ માગી ,ઘોડાનું પલાણ ન છાંડ્યું . આયરાણીએ દોટ દીધી , ધણીની દેલિયા સાંગ પડેલી તે આપી . સીમાડે મલ દેખાણો .

શામળા ભાએ તો ત્રીજી પાંસળીએ તરવાર બાંધેલી , કમાળ જેવડી ઢાલ ગળામાં લીધેલી , ને માથે મલોખાં ગોઠવીને ફગ પહેરેલી , વાંસે જોયું તો એક અસવાર વહ્યો આવે છે .

“અરે , એક અસવાર બાપડો શું કરતો તો ?” એમ વિચારીને થોભા માથે હાથ નાખે છે ત્યાં ભીમો આવ્યો .

હરણ ખોડાં કરી દે એવી ઘોડીના ડાબા ગાજ્યા , હાથમાં ગણણ…ગણણ…ગણણ સાંગ ફરતી આવે છે .

આવતાં જ હાકલ કરી “ક્યાં છે દરબારનો સાળો ?” હાકલ સાંભળતાં અસવારો ઓઝપાણા .

ઘડીમાં તો ભીમાએ ફોજ વચ્ચે ઘોડો ઝંપલાવ્યો , પાડો પાડાને કાઢે એમ એણે ભાના ઘોડાને બહાર કાઢી પાટીએ ચડાવ્યો .

લગાફગ….લગાફગ….લગાફગ કરતા ભા ભાગ્યાઃ દોઢસો ઉજ્જડ મોઢાં ઊભાં રહ્યા

. ફરડક–હું , ફરડ ! ફરડક–હું , ફરડ ! ફરડક–હું , ફરડ ! એમ ફરકારા બોલાવતા ભા ના ઘોડાને પોણોક ગાઉને માથે કાઢી જઇને પછી લગોલગ થઇ ભીમાએ સાંગ તોળી .

બોલ્યો “જો , મારું તો આટલી વાર લાગે , પણ મને અને ભાવનગરને ખોટ્ય બેસેઃ તું પાલીતાણા -કુવરનો મામો કે વા! પણ જો ! આ તો નહિ મેલું “

એમ કહી ભીમાએ સાંગ લાંબી કરી શામળા ભાને માથેથી ફગ ઉતારી લીધી . અણીમાં પરોવાયેલી ફગ લઇને આયર પાછો વળ્યો . દોડસો અસવારોની ગાંઠ પડી ગઇ છે , પણ કોઇએ તેને છંછેડ્યો નહિ .

શામળો ભા તોપાટીએ ચડી ગયા ,તે ઠેઠ ડુંગરામાં દરશાણા .

એક કહે “અરે , બાપાની ફગ ઉપાડી લીધી .”

બીજો કહે “ઇ તો માથાનો મેલ ગયો .”

ત્રીજો કહે “ઇ તો મોરલીધર બાપાને છાબડે આવ્યા , ફગ ગઇ તો ઘોળી . માથાનો મેલ ઊતર્યો , બાપા ! વાંધો નહિ . કેડ્યેથી ફાળિયું છોડીને ફેંટો બાંધી લ્યો .”

દીવે વાટ્યો ચડી ત્યારે શામળો ભા પાલીતાણામાં દાખલ થયા .

પ્રતાપસંગજીનજર કરે ત્યાં લમણાં ઉજ્જડ દીસ્યાં .માં પર વિભૂતિનો છાંટોયે ન મળે .

ભાએ સલામ કરી .

“ગરાસિયાના પેટનો છો ?” દરબારે કહ્યું , “મે નો તો ચેતવ્યો ?”

“માળો……આયરડો ત્રણ તાડ જેવડો થાય છે ! કાઠામાં સમાતો નથી !” ભા ની જીભના લોચા વળવા લાગ્યા .

“ન થાય ? અમથો હું હાલ્યો આવ્યો હોઇશ ? જાવ , મને મોઢું દેખાળશો મા “

શામળો ભા પાટીએ ચડી ગયા . તે દિવસથી એવા તો અબોલા રહ્યા કે પ્રતાપસંગજીના મોતને ટાણે પણ એનાથી અવાયું નહોતું

. પતંગિયા જેવો ભીમો ફગ લઇને સીમાડેથી પાછો વળ્યો . વાંસે ધણ ચાલ્યું આવે છે .

ગામ લોકોએ લલકાર કર્યો , “રંગ ભીમા ! રંગ ગરણિયા !”

– ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રની રસધારમાંથી સાભાર

આહીર જ્ઞાતિ વિશેના અન્ય લેખો આ વેબસાઈટ પર જરૂરથી વાંચો…

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators