ઈતિહાસ ઉદારતાની વાતો

મહેમાનગતિ

Namastey

એકબાજુ ચિત્તળ ગામમાં મહેમાનગતિ માણવા આવેલ લાઠીનો રાજવી પરિવાર બેઠો છે.તેમની લગોલગ ચિત્તળનો કાઠી ડાયરો બેઠો છે.શેરડીનો સ્વાદ લેતાલેતા અલકમલકની વાતો થાય છે.ત્યાં વાતમાંથી વાત નીકળી.એક કાઠીએ કહ્યું : ‘શેરડી મીઠી બોવ…!’

‘મીઠી તે દુશ્મનના લોહી જેવી !!?’

ચિત્તળનો કાઠી ડાયરો મૂછમાં હસવા લાગ્યો.લાઠીનો રાજવી મહરને પામી ગયો. આગની જેમ હાડોહાડ લાગી ગયું. પણ અબોલ રહ્યાં સિવાય છૂટકો નહોતો.

‘શેરડી મીઠી જ હોય ને…’કોઈએધગધગતા અવાજે બોલ્યું :‘ભણ્યું, ખેતરનાં ખાતરમાં તમારા બાપ-દાદાના માથા વધેરીને નાખ્યા છે !’


મહેમાનગતિ માણવા માટે ખાસ બોલાવ્યા હતાંને ત્યાં આવું સાંભળવા મળતાં જેમ દારૂખાનામાં આગનો તિખારો પડેને સઘળું ક્ષણનાં છઠ્ઠા ભાગમાં ભડકો થઇ ઉઠે એમ સળગી ઉઠ્યું. આખો ડાયરો હડેડાટ કરતો ઊભો થઇ ગયો.

ભારે કરી.આતો બાપ-દાદાનાં માથા વધેરવાની વાત આવીને ઊભી રહી.હવે શેરડીનો રસ ગળે ઉતરવો કે પાછો કાઢવો !? અને ઊભા રહેવું કે ચાલતાં થાવું !? ડાયરાને ભોં ભારે થઇ પડી.

વાત અહીંથી અટકી નહોતી પણ ધીંગાણાનું સ્વરૂપ લઇ ઊભી રહી હતી.મધ જેવાં મીઠા કોગળા ઝેર જેવાં થઇ પડ્યા.મહેમાનગતિ માણવા આવેલો ડાયરો ગામ ભેળો થઇ ગયો અને જાતા જાતા કહેતો ગયો :‘હવે અમારે પણ શેરડી મીઠી કરવા માથા વાઢવા પડશેને !?’

લાઠી એટલે આમતો સાવ ખોબા જેવડું રજવાડું. વાટકીમાં શિરામણ કહેવાય. પણ ભાવેણા રાજનું ભાયાત કહેવાય એટલે તેમની ઓથ મળી રહેતી હતી.આ બાજુ ચિત્તળ પણ સાવ ખોબા જેવડું રજવાડું. પણ આમ ભારે વટનો કટકો. લીધેલી વાત મુકે નહિ. જીવ જાય પણ એની જીભાન ન જાય.એક વખત મોંમાંથી નીકળી ગયું એટલે પાળે જ છૂટકો.ધીંગાણું નક્કી જ હતું.આવનાર પરિસ્થિતિને પહોંચી વળવા ચિત્તળનાં દરબારગઢમાં પુરેપુરી તૈયારીઓ થઇ ગઈ હતી.

લાઠીએ ચિત્તળ ગામ પર ચઢાઇ કરી. ચિત્તળ સાવ બચોળીયા જેવું છે તે ચપટીમાં ચોળાઈ જશે. આવાં વહેમમાં લાઠી રાજના માણસોએ લડવા માટે થોડાં સિપાઈઓ અને સાવ ઓછો સરંજામ લીધો હતો.

ચિત્તળનાં દરબારગઢમાંથી વછૂટતાં તોપના ગોળા સામે ઝીંક ઝીલવી મુશ્કેલ હતી.તોપમાંથી રીતસરના અગનગોળા વરસતા હતાં. લાઠીના લશ્કર પર કાળની જેમ ઝીંકાતા હતાં.લશ્કરના માણસો દણોદણ વિખેરાય જાતાં હતાં. હતું કે થોડું લશ્કર પણ ભારી પડશે પણ ધારણા ફોગટ નીવડી.

‘આ તો ભૂંડીયું થઇ, હમણાં માણસો સાફ થઇ જાશે ને પછી ભૂંડા મોંએ પાછાં ફરવું પડશે !’

હુમલો કરવો તો પુરી તાકાતથી કરવો. સઘળું ખેદાનમેદાન થઇ જાય.જેથી ફરી આ બાજુ નજર નાખવાની પણ હિંમત કરે નહિ.ખો ભૂલી જાય.

પણ અટાણનું શું !? આ સળગતો સવાલ હતો. એક વખત પાછાં હટયા,પારોઠનાં પગલાં ભર્યા એટલે ગોહિલરાજની શૂરવીરતા ડંકા બોદા બોલવા લાગે.

પાછા પડવું પોસાય તેમ નહોતું પણ સવાલ કાળમુખી તોપનો હતો.તોપને ખીલા ધરબી ખોખરી કરી નાખવામાં આવે તો ચિત્તળની તાકાત ખોખરી થઇ જાય.

પણ આ બીડું ઝડપે કોણ !? સાક્ષાત મોતના મોંમાં હડસેલાવાની વાત હતી. પણ ત્યાં એક અડાભીડ આહીર આગળ આવીને ઊભો રહ્યો. તેણે તોપમાં ખીલા ધરબવાનું બીડું ઝડપ્યું. તેનાં માટેનો સાધન-સરંજામ હાજર થયો. તોપ સુધી કેમ પહોંચવું તેની વ્યૂહરચના ઘડાઈ ગઈ.

મોતને વ્હાલું કરવાનું હતું. પણ સામે રાજની આબરુ અને ધીંગાણાનો સવાલ હતો.

આમતો કોઈને કલ્પના પણ નહોતી કે ઉજળી મહેમાનગતિ માણવાનો અવસર આમ લોહિયાળ થઈને ઊભો રહેશે !

ડાંગર આહીર મારતે ઘોડે ગઢમાં પ્રવેશી ગયો અને હજુ તો કોઈ કાંઇ સમજે, કરે તે પહેલાં ગઢ પર ચઢી ગયો.નીચેથી મારો પકડો…મારો…એમ બોકાસો બોલતો રહ્યો. પણ આહિરે જીવની પરવા કર્યા વગર તોપમાં ખીલો ધરબી દીધો…તે લોહીમાં લથબથ થાતો નીચે ખાબક્યો ત્યારે…ધીંગાણું અટકી ગયું…

પણ જાણે ઉજળી મહેમાનગતિ હીબકાં ભરતી હોય એમ લાગતું હતું !

સૌજન્ય : ગ્લોબલ ગુજરાત ન્યુઝ દ્વારા રાઘવજી માધડ ના લેખ.

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators