ઈતિહાસ ફરવા લાયક સ્થળો મંદિરો - યાત્રા ધામ સંતો અને સતીઓ

સત નો આધાર -સતાધાર

Temples Satadhar Dham
Temples Satadhar Dham

Gate to enter at Satadhar Dhamસતાધારની જગ્યાનું સ્થળ:
સતાધારની જગ્યા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનાં વિસાવદર શહેરથી ૭ કિલોમીટર દુર આવેલી છે. આજે તો ગિરનું જંગલ ત્યાંથી કપાતુ દુર નીકળી ગયુ છે. બારેમાસ વહેતી આંબાઝરના પહોળા સુકા પટમાં પથ્થરા ઊડી રહ્યા છે. એક કાળે ગિરનું જંગલ ઠેઠ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર, શીંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વહેતા હતાં. વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોતતી જગ્યાએ આપાગીગાએ સતાધારની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતુ. અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કરેલ જે આજે પણ ચાલુ જ છે.
Sant Shri Aapa Giga at Satadhar Dham

સંતશ્રી આપાગીગા:

આપાગીગાના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઇ હતુ જે પાછળથી આપાદાનાએ તેનુ નામ લાખુ રાખ્યુ હતુ જેથી તે નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ, સુરઇને સગર્ભા મુકીને પોતાના ઢોર લઇને દેશાવર ચાલ્યા ગયા હતાં. સુરઇ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનુ નામ ગીગો રાખ્યું. મા-દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઇના સગાઓએ પણ તેને જોઇને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપાદાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઇ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વરધણીને જેને ઓરતા હતા તે ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપાગીગાનો પ્રાદુર્ભાવ થયો.

આમ આપાગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરૂ આપાદાનાનું નામ જ રટ્યા કરે છે. આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઇ ગયો હતો. એક દિવસ પાળિયાદની જગ્યાનાં આપાવિસામણ, ચલાળાના મહેમાન બન્યા છે. આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણનાં સુંડલા ઉપાડતા ગીગાને જોયા રાખતા હતા. એક દિવસ આપાવિસામણે આપાદાનાને કહ્યુ કે આપા હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પંજો મારો. આમ તે દિવસે બન્ને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપાદાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમા નમી પડ્યો અને તેના ગુરૂ નો પંજો તેના ઉપર પડ્યો. ત્યાર બાદ થોળા સમય પછી ગીગાને આપાદાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યુ. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છુટીને પોતાના ગુરૂને કહ્યુ કે મારો કાંઇ વાકગુનો છે કે મને નોખો થવાનુ કહો છો. ત્યારે આપાદાને હસતા હસતા કહ્યુકે ગીગા તુ તો મારાથી સવાયો થઇશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ તને નમશે અને પરગટ પીર થઇ પુજાઇશ. અને કામધેનુ, મુંડીયા અને અભિયાગતોને પાળજે. તારા ચુલામાં લોબાનની ભભક આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે.

આમ આપાગીગા પોતાના ગુરૂ આપાદાનાને પગે લાગી, જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરીભરીને રોઇને વિદાય લીધી. ચલાળાથી ૧૦૮ ગાયને લઇને થોડો સમય ચલાળામાં જ એક ઝુંપડી બાંધીને રહ્યા. અને ત્યાં દાળ-રોટલાનું સદાવ્રત ચાલુ કર્યુ. થોડો સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઇને ફરતા ફરતા અત્યારે જ્યાં સતાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાઝર નદીને કાંઠે ઝુંપડી બાંધી અને જગ્યાનુ તોરણ બાંધ્યું. ચમત્કારોની કેટલીય વાતો આપાગીગાનાં જીવન સાથે વણાયેલી છે. આપાગીગાએ બાંધેલી ઝુંપડી સતાધાર ના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારેતરફ પ્રસરી વળી છે. આપાગીગાએ શરૂ કરેલુ સદાવ્રત અને અભ્યાગતોનો આદર-સત્કાર એકધારી ચાલી આવે છે.
Samadhi Satadhar Dhamસંત પરંપરા:
સતાધારની જગ્યામાં આપાગીગા પછી તેમના શિષ્ય કરમણભગત સતાધારની ગાદીએ આવ્યાં. તેમના પછી રામબાપુ, જાદવબાપુ, હરિબાપુ, હરજીવનબાપુ, લક્ષમણબાપુ ગાદીએ આવ્યા. શ્રી લક્ષમણબાપુપણ એક પ્રતાપી સંત થયા જે ૩૨ વર્ષ ગાદીએ રહ્યા. ત્યાર બાદ તેમના શિષ્ય એવા મહાન સંતશ્રી શામજીબાપુ ગાદીએ આવ્યા તે સતાધારની ગાદીએ ૩૧ વર્ષ સુધી મહંત પદે રહ્યા. સતાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિધ્ધિ શામજીબાપુએ અપાવી હતી. તેઓ પાંચ વર્ષની ઉંમરે સતાધારની જગ્યામાં આવ્યા હતા. તેમના ગુરૂશ્રી લક્ષમણબાપુએ તેમને ઉછેર્યા અને પછીના સમયે તેમને તિલક કરી ગાદીએ બેસાડ્યા હતાં. તે સમયે સતાધારની જગ્યા અને શામજીબાપુ એકબીજાના પર્યાય બની ગયા હતાં. એક સમયે ભારત વર્ષનાં સાધુસંતોએ અલ્હાબાદ ના કુંભના મેળામાં શામજીબાપુને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન કર્યુ હતું. આવુ સન્માન કોઇક સંતને ભાગ્યેજ મળતું હોય છે. આમ તે ઈ.સ.૧૯૮૩ ની સાલમાં ૭૮ વર્ષની ઉંમરે બ્રહમલીન થયા. શામજીબાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની હયાતીમાં જ જીવરાજબાપુને તિલક કરી ગાદીએ બેસાડયા હતાં.


Temples Satadhar Dhamદેવસ્થાનો અને ધર્મશાળા:
સતાધારની જગ્યામાં શ્રી હનુમાનમંદીર, શ્રી શિવમંદીર, શ્રી આપાગીગાનું સમાધીસ્થાન તેમજ તે જગ્યાનાં મહંતોની સમાધીઓ આવેલી છે. જેમ કાલાવડ પાસેની શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર માં શ્રી નાથજીદાદા ગુર્જર રાજપુતનાં ચૌહાણ શાખના હોવાથી ત્યા તે કુટુમ્બ દ્વારા જ ધજા ચડે છે તેવીજ રીતે સતાધારમાં પણ આપાગીગા ગધઈ સમાજના હોવાથી અષાઢી બીજના દિવસે તે સમાજ દ્વારા ધજા ચડાવવામાં આવે છે. સતાધારનુ વિશાળ રસોડુ અને જબ્બર અતિથિગ્રૂહ તેની વિશેષતા છે. ત્યાં એક સાથે ત્રણ હજારથી વધારે લોકોની રસોઇ થઇ શકે તેટલી તમામ સગવડતા આ રસોડામાં છે. તેમજ ત્રણથી ચાર હજાર માણસો નિરાંતે રહી શકે તેવા અતિથિગ્રૂહ છે જેનું નામ બ્રહમલીન શ્રી શામજીબાપુ નાં નામ ઉપરથી શ્યામભવન રાખવામાં આવ્યુ છે.
Ambazar river near Satadhar Dhamઆ સ્થાનકની પાછળ આંબાઝર નદી વહે છે. તેના પર શ્રી શામજીબાપુએ ઘાટ, બગીચો અને કુંડ બનાવળાવ્યા છે. રાજુલાના પથ્થરમાંથી બનેલા આ ઘાટ હરદ્વાર, અલ્હાબાદ કે વારાણસીની યાદ આપે છે. શામજીબાપુએ પોતાના ગુરૂના નામથી તેનુ નામ લક્ષમણઘાટ રાખવામા આવ્યુ છે. તેમજ તેનાં સામા કાંઠે નયનરમ્ય સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે જે આંખોને ખરેખર શીતળતા આપે છે.

Satadhar Dhamઉજવાતા ઉત્સવો:
આ જગ્યામાં આમ તો કાયમી જુનાગઢનાં ગિરનારની પરકમ્મા તથા યાત્રાએ આવતા યાત્રાળુઓમાંથી મોટાભાગના સતાધારની જગ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. તેમજ આ જગ્યામાં અષાઢી બીજ, ભાદરવી અમાસ, કાર્તિકી પુર્ણીમા, દિવાળીનો પડવો અને શ્રાવણ માસ આખો અહીં ઉજવાતા મહત્વનાં તહેવારો છે. આ સ્થળ કુદરતી સૌદર્યથી ભરપુર અને મનને શાંતિ આપનારુ પાવનકારી છે.

નહીં જેના દરબારમાં ભૂપત ભીખારીના ભેદ;
વાણીમાં ચારેય વેદ ગાતા સદગુણ ગીગવા.

આંબાઝરનો ઝીલણો નાવા સરખા નીર,
ધજા ફરુકે ધર્મની પરગટ ગીગો પીર,

સોરઠ ધરા સોહામણી ગાંડી ઘેઘુર ગિર,
સરવા સતાધારમાં પરગટ ગીગેવ પીર.

PHOTO GALLERY: Satadhar

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators