September 13, 2026

આવી રીતે કૃષ્‍ણ અવતાર “દ્વારકાધીશ” કહેવાયા

February 17, 2014  ·  4 મિનિટ વાંચન

શ્રી કૃષ્‍ણ દ્વારકાધીશ કઈ રીતે બન્‍યા તે હકીકત જાણવા જેવી છે. કંસના સસરા જરાસંઘે મથુરા પર ૧૭ હુમલા કર્યા. શ્રી કૃષ્‍ણની આગેવાની હેઠળ મથુરાવાસીઓએ આ દરેક આક્રમણનો અડગ રહીને સામનો કર્યો. શ્રી કૃષ્‍ણને એ વાતનો ખ્‍યાલ આવી ગયો કે હંસ અને ધિમક જરાસંઘની મુખ્‍ય તાકાત છે. પોતાની દીર્ઘદ્રષ્ટિ વાપરી શ્રી કૃષ્‍ણે આ બન્નેને મારી નખાવ્‍યા. આ બન્નેના મોતથી જરાસંઘનો આત્‍મવિશ્વાસ ડગી ગયો અને તેનું સૈન્‍ય ડઘાઈ ગયું.

પરંતુ જરાસંઘે હિંમત કરી ફરી એક વખત મથુરા પર હુમલો કર્યો. આ સમયે યાદવસભાના વિક્રાડુએ કૃષ્‍ણને કડવું સત્‍ય જણાવ્‍યું, “કૃષ્‍ણ અમને તમારા પ્રત્‍યે અનન્ય પ્રેમ છે. આપના ઋણ અમે ચૂકવી શકીએ તેમ નથી. આ આક્રમણ આપને કારણે જ થઈ રહ્યા છે. મથુરાના લોકો પરેશાન થઈ ગયા છે. અહીં લોકોનો વિકાસ રુંધાઈ રહ્યો છે. આ સમયે વધુ એક આક્રમણનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ સંજોગોમાં લોકોની શાંતિ ખાતર આપ અમને છોડી જતા રહો. આપના હિતેચ્‍છુ લાગણીના આવેશમાં આપની પાછળ ઘેલા થઈ શકશે નહીં. આપના ભક્ત તરીકે હું આપને આ વિનંતી કરી રહ્યો છું.” આ શબ્‍દો સાંભળી સમગ્ર યાદવસભામાં સન્નાટો છવાઈ ગયો વિક્રાડુના આ સુચનને શ્રી કૃષ્‍ણના પિતા વાસુદેવે ટેકો આપ્‍યો. શ્રી કૃષ્‍ણને પરિસ્થિતિની ગંભીરતા સમજાતા તેમણે મથુરા છોડવાનું નક્કી કર્યું. તેમણે યાદવોને જણાવ્‍યું કે મેં તમને સંસ્‍કૃતિનું જ્ઞાન આપ્‍યું છે. એ મુજબ જીવનનું આચરણ રાખશો, હું મથુરા છોડી દ્વારકા જઈ રહ્યો છું. ત્‍યાર બાદ ગિરનાર પર્વત ઓળંગી શ્રી કૃષ્‍ણએ પ્રભાસ પાટણ (હવે, સોમનાથ)ની નજીક દ્વારકા નગરીની (સુવર્ણ નગરી દ્વારકા) સ્‍થાપના કરી. દ્વારકા આવ્‍યા પછી પણ ધર્મને પાયામાં રાખીને રાજ્ય સ્‍થાપવાનો તેમનો મુખ્‍ય ઉદેશ રહ્યો. તેમણે દ્વારકાને ધર્મને આધારિત રાજ્ય તરીકે પ્રસ્‍થાપિત કર્યું. દ્વારકાની ખ્‍યાતિ ધર્મરાજ્ય તરીકે ઠેર-ઠેર પ્રસરી અને આમ, દ્વારકાના રાજા તરીકે તેઓ ‘‘શ્રી દ્વારકધીશ‘‘ તરીકે ઓળખાયા. શ્રી કૃષ્‍ણના જીવનનું મહત્‍વ સમકાલીન નહીં પણ સર્વકાલીન રહ્યું છે. આથી જ આજે ૫૦૦૦ વર્ષ પછી માત્ર વૈષ્‍ણવો (વિષ્‍ણુ અને શ્રી કૃષ્‍ણના ભક્તો) જ નહીં પરંતુ દરેક લોકો દ્વારા કૃષ્‍ણજન્મ ઉજવવામાં આવે છે. તેમની જીવનશૈલી દરેક સમયે અડીખમ રહી શકી છે.

જય દ્વારિકાધીશ

સંબંધિત લેખ