September 12, 2026

મહાત્મા ભભૂતગર મહારાજ

May 11, 2022  ·  5 મિનિટ વાંચન

જામ ખંભાળિયા પાસે વિઝ્લપર ગામ ના અતીત બાવાજી સાધુ ભભૂતગર, પડકાર કરે ત્યાંતો કોક ના પ્રાણ કાઢી નાખે એવું પાંચ હાથ પૂરું કદ, ભક્તિ સાથે કોઈ લેવા દેવા નઈ અને ભભૂતગર નો મુખ્ય ધંધો વ્યાજે પૈસા દેવાનો.

દર મહિને જયારે વ્યાજ ઉઘરાવવા ગામ માં નીકળે ત્યારે ગામ ના ચોક માં જઈ ને પોતાના અરબસ્તાની ઘોડાને ચોકમાં ઉભો રાખી ને જામગરી બંધુક નો એકાદો ભડાકો કરી ને કહે “લાવો મારુ વ્યાજ આપી જાવ” આટલું સંભારતાં તો લગતા વળગતા લોકો દોડી દોડી ને વ્યાજ આપી જતા .. મોત આવે તો ભલે આવે પણ ભભૂતગર નું વ્યાજ તો ચૂકવવું જ પડે એવો ચીલો હતો.

આવા માં એક ગામ માં વ્યાજ ઉઘરાવવા ભભૂતગર પોતાના સાથીદારો સાથે પહોંચે છે, ચોક માં આવી ને ભભૂતગરે પડકારો કર્યો “મારુ વ્યાજ આપી જાવ બધા”, અને એક પછી એક બધા લોકો વ્યાજ આપી જવા માંડ્યા, એવામાં એક ડેલી ખુલી નહીં, એમાંથી કોઈ વ્યાજ દેવા માટે નીકળ્યું નહિ, એટલે ભભૂતગર ના મેહતાજી એ ડેલી માં અંદર ગયો.

એ ડેલી માં એકલી બેન હતી, એના પેટ માં સાત માસ નું ગર્ભ હતું, ખાટલામાં સૂતી હતી, અને જેવો ભભૂતગરનો પડકારો સાંભર્યો, અને ડેલી ખોલી ને મેતાજી અંદર આવ્યા, આટલી ઘટના બની એમાં બીક ના માર્યા એ સગર્ભા બેન ના ગર્ભ માં જે બાળક હતું એ શ્રવી ગયું, બેન બેભાન થઇ ગયા, અને બાળક મરી ગયું, આ ઘટના જોઈ ને મેતાજી ની આખો પોળી થઇ ગઈ, હળી કાઢી ને મેતાજી ડેલી બાર દોડ્યા અને ભભૂતગર પાસે આવી ને કીધું “બાપુ ગજબ થઇ ગયો” “બોવ પાપ લાગશે આપડાને” ભભૂતગર એ કીધું “પણ શું થયું” મેતાજી એ ભભૂતગર ના પડકારા થી એ ડેલી માં બનેલી દુઃખદ ઘટના કીધી અને ભભૂતગર ના મોઢા માંથી આહ્કારો નીકળી પડ્યો ” ઓહો હો, આ તો ગજબ થઇ ગયો કેવાય, ચાલો આપડા ઘોડા પાછા વાળો, આપડે ઘરે જવું છે

ભભૂતગર પોતાના સાથીદારો સાથે પોતાના ગામ માં આવે છે, ઘર માં જઈ ને બધા વ્યાજ ના ચોપડા નો ફળીયા માં મોટો મસ ઢગલો કર્યો, એની માથે એક ડબ્બો ઘી રેડી ને જામગરી બંધુક નો ભડાકો કરી અબે ઢગલો સળગાવી દીધો, બધા ચોપડા સળગી ગયા પછી જે રાખ થઇ એને ભભૂતગર ભેળી કરવા મંડ્યો, આ જોઈ ને સાથીદારો બોલ્યા કે બાપુ બધા વ્યાજ ના હિસાબો સળગાવી ને રાખ ભેળી કરો છો તે પાગલ થઇ ગયા છો કે શું? ત્યારે ભભૂતગર મહારાજે દુહો લલકાર્યો

ખાટી (મેળવી) પણ ખાધી નહિ ,
દાટી માટી માઈ, પછી ફરવું ફળિયામાં,
ભોરિંગ થઇ ને ભભુતીયા

ભભુતીયા દતા મતા, ન ખર્ચે ન ખાય
મધમાખી મધ ભેળું કરે પછી હાથ ઘસતી જાય
અરે ભભુતીયા ભૂંડી કરી, તું ચાલ્યો ન ધન ની ચાલ
મૂરખ મોત જાણ્યું નઈ, તારું આજ આવશે કે કાળ

ખેળાં કંઇક ખપી ગયા, વિધ વિધ પહેરી વેશ,
નાવે મોજ નરેશ, ભજવ્યા વિણ ભભૂતિઆ.

ભભૂતગર મહારાજે બધા વ્યાજ ના ચોપડાઓ ને સળગાવી એની રાખ ભેળી કરી, શરીર પર લગાવી, અલખ ગિરનારી નો સાદ કરી અને નીકળી ગયા, વૈરાગ લાગી ગયો ભભૂતગર ને અને મહાત્મા ભભૂતગર બની અને આખી જિંદગી વૈરાગી સાધુ બની ને ભક્તિ માં વિતાવી દીધી. આજે પણ લોકમુખે ઘણી વાર ભભૂતગરજી ના ભેખ ધારણ કાર્ય પછી ના પરચાઓ સાંભળવા મળે છે. સૌરાષ્ટ્ર કાઠિયાવાડ એટલે સંતો અને શુરવીરો ની ભૂમિ, કાઠિયાવાડ ના ખૂણે ખૂણે શૌર્ય કથાઓ અને દિલાવરી ની કથાઓ નો ભંડાર ભર્યો છે. કાઠિયાવાડ માં આવા કેટલાય પરોપકારી સંતો-સતીઓ અને માભોમ માટે ખપી જનારા શુરવીરો પાક્યા છે.

માહિતી ફોટોગ્રાફ સૌજન્ય: સંત શુરા અને સતીઓ ગ્રુપ

સંબંધિત લેખ