September 14, 2026

આજ વૃંદાવન આનંદસાગર

October 19, 2014  ·  1 મિનિટ વાંચન

આજ વૃંદાવન આનંદસાગર,
શામળિયો રંગે રાસ રમે;
નટવર-વેશે વેણ વજાડે,
ગોપી મન ગોપાળ ગમે.

એક એક ગોપી સાથે માધવ,
કર ગ્રહી મંડળ માંહે ભમે;
તા થૈ તા થૈ તાન મિલાવે,
રાગ-રાગણી માંહે ઘૂમે.

સોળ કલાનો શશિયર શિર પર,
ઉડુગણ સહિત બ્રહ્માંડ ભમે;
ધીર સમીરે જમુનાતીરે
તનના તાપ ત્રિવિધ શમે.

હરખ્યા સુરનર દેવ મુનિજન
પુષ્પવૃષ્ટિ કરે, ચરણ નમે;
ભણે નરસૈંયો ધન્ય વ્રજનારી,
એને કાજે જે દેહ દમે.

– નરસિંહ મહેતા

સંબંધિત લેખ