September 14, 2026

એવા રે અમો એવા રે એવા

January 7, 2014  ·  1 મિનિટ વાંચન

એવા રે અમો એવા રે એવા
તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો
તો કરશું દામોદરની સેવા રે.

જેનું મન જે સાથે બાંધ્યું
પહેલું હતું ઘર-રાતું રે,
હવે થયું છે હરિરસ-માતું
ઘેર ઘેર હીંડે છે ગાતું રે.

કર્મ-ધર્મની વાત છે જેટલી
તે મુજને નવ ભાવે રે,
સઘળા પદારથ જે થકી પામ્યો
તે મારા પ્રભુજીની તોલે ના’વે રે.

સઘળા સંસારમાં એક હું ભૂંડો
ભૂંડાથી વળી ભૂંડો રે,
તમારે મન માને તે કહેજો
નેહ લાગ્યો છે મને ઊંડો રે.

હળવા કરમનો હું નરસૈંયો
મુજને તો વૈષ્ણવ વહાલા રે,
હરિજનથી જે અંતર ગણશે
તેના ફોગટ ફેરા ઠાલા રે.

– નરસિંહ મહેતા

સંબંધિત લેખ