September 12, 2026

મચ્છુકાંઠો

February 27, 2014  ·  2 મિનિટ વાંચન

હાલારની પૂર્વમાં વાંકાનેર અને મોરબીવાળી મચ્છુ નદીનો પ્રદેશ મચ્છુકાંઠો કહેવાય છે. એનું ક્ષેત્રફળ ૭૮૦ ચો.માઈલનું ગણાતું. મોરબી અને માળિયા જાડેજા રાજપૂતોના સંસ્થાનો હતા. આ પંથકને પાછળથી હાલારમાં જોડી દેવાયો હતો. મચ્છુકાંઠાના માનવીની ઓળખ આપતો દુહો ઊર્મિ-નવરચનાના દુહા અંક (જૂન ૧૯૭૫)માંથી મળે છે:

મચ્છુકાંઠો ને મોરબી, વચમાં વાંકાનેર,
ચંગા માડું નીપજે, પાણીહુંદો ફેર.

માંડવધાર (ડુંગર) ની ગાળીઓમાંથી ગળતું પાણી ભારે ગણાય છે. એને પીનાર માનવીના દેહ વજ્જર જેવા, પણ હૈયાં મીણ જેવાં મુલાયમ હોય છે. સૌરાષ્ટ્રમાં જેનો જોતો ના જડે એવું અહીંનું ખડ ખાઈને ઉછરતા માલઢોરના આઉમાંથી અમી જેવા દૂધની શેડયું વછૂટે છે. મચ્છુ નદી માલધારીઓની માતા ગણાય છે. અહીં વસતા અઢારે વરણના માનવી પટાધર (શૂરવીર) પાકે છે. એવો એના પાણીનો ગુણ છે. માનવીનો અમુક પ્રકારનો સ્વભાવ પંથકનાં પાણી, પરિસ્થિતિ અને પ્રાદેશિક વાતાવરણમાંથી ઘડાય છે.

સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે.

સૌજન્ય: લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

સંબંધિત લેખ