September 13, 2026

ઓખામંડળ પરગણું

February 25, 2014  ·  1 મિનિટ વાંચન

ઓખામંડળ પંથકનો સૌ પ્રથમ ઉલ્લેખ ‘વર્ણક સમુચ્ચય’માંથી સાંપડે છે. ડો. ભોગીલાલ સાંડેસરા નોંધે છે કે ઉખામંડળ અથવા ઉમામંડળ એ સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણા પરનું ઓખામંડળ છે. કાઠિયાવાડ સર્વ સંગ્રહ અનુસાર ઓખામંડળ એ દ્વિપકલ્પના છેક પશ્ચિમ છેડા ઉપર છે. એનું ક્ષેત્રફળ ૩૦૦ ચો. માઈલ છે. તળ કાઠિયાવાડ અને ઓખા મંડળ વચ્ચે નીચી ખારાશવાળી જમીન છે. તેને રણ પણ કહે છે. આ પ્રદેશ જૂનાકાળે ગાયકવાડના તાબામાં હતો. સૌરાષ્ટ્રની પશ્ચિમે આવેલ ઓખામંડળ અગાઉ બેટ હતું. દ્વારકા ઓખામંડળમાં આવ્યું છે. આ નામ ક્યારે પડયું તે જાણી શકાતું નથી. પુરાણોના પાનાં ફેરવતાંય આ નામ ક્યાંય જડતું નથી. ઓખામંડળ અંગેની અનેક ઉક્તિઓ આજે ય સાંભળવા મળે છે.

આંક અરિઠા આંબલી, ઓખા મેળો એહ,
એક ન હોત શ્રીનાથજી, તો દીઠા જેવો દેહ

ઊંટકડો ને આંબલી, ઓખો મેળો એહ,
હડકો નળે દ્વારકાનાથ, નયે જડયો દેહ.

ખડકાળ અને પથરાળ કાયાવાળો, લાલપીળી પામરી ઓઢેલ, કટારા, બાવળિયાં, અરણી, કરમદો, આંબલી અને ઊંટકડોના પુષ્પ અલંકારની માળા ગળે ધારણ કરી કંઈ કંઈ કાળથી પુરાણો અનેક તવારિયોને જન્મ દેતો ઓખો મનખાવતારમાં એકાદવાર જોવા જેવો તો ખરો જ.

સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે.

સૌજન્ય: લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

Okhamandal (Peninsula)

સંબંધિત લેખ