વીરપુર વાસી હરિગુણ પ્યાસી, ડંકો વગાડ્યો પૂરા દેશમાં
દાતા તમે આવ્યા જલા ના વેશ માં….
માતા રાજબાઇ ખોળે જન્મ ધર્યોને, પિતા પ્રધાન પરખાણા
વીરબાઇ સરીખી મળી અર્ધાંગના. ભક્તિ તરબોળ દરશાણા
સાધુ સંતોની સેવા કરતાં, અંતર ઉમંગ આવેશ માં..
અંગે અંગરખું હાથમાં બેરખો, ગાલે લાખું લાખેણું
ગળે રુદ્રાક્ષની માળા ઓપતી, શોભા તારી શું વખાણું
હાથમાં લાકડી માથે પાઘડી, ઓલિયો લાગે છે કેવો ખેસ માં.
લાલા ભગત જેવા સખા તમારા, દળણા સૌ સાથમાં દળતાં
ભેગા મળી સંતો ભજનો લલકારે, આરાધ ઈશ ની કરતાં
ગંગા ને યમુના સરીખી સરિતા, આવે પનિહારી વેશમાં…
પ્રભુ એ આવી લીધી પરીક્ષા, વિરબાઇ માંગી લીધાં
લેશ ન માયા ઉરમાં આણી, હરખે વળાવી દીધાં
ઝોળીને ધોકો દઈ છટકયા સીતા પતિ, ચાલ્યા સાધુના પહેરવેશમાં
રામની ભકિત ભાળી પ્રગટ્યા પવનસુત, મૂર્તિ રૂપ મંડાણા
હેતે ભગત ને આશિષ આપતાં, પ્રેમ ભાળીને પરખાણા
સદાએ સંતની સાથમાં રહેતા, બેસે કોઈ ભકતના વેશમાં..
રામના નામની ધૂણી ધખાવી, ભૂખ્યાને અન્નજલ આપતાં
દીન દુખિયાની કરતા ચાકરી, કષ્ટો ગરીબના કાપતાં
અવળાં ઉત્પાત કોઈ અંતર ના આણતાં, બોલે ભલેને કોઈ દ્વેષ માં
દેશ વિદેશના ભકતોની ભીડ જામે, સેવા કરવામાં સૌ શુરો
હેતે હરિજન દર્શન કરતાં, પામે સંતોષ પુરે પુરો
એક અધેલો ચડેના ચડાવો, કોઈ પણ દાણ ના પ્રવેશ માં…
દીન “કેદાર” પર દયા દરશાવો, આશિષ અવિરત આપજો
સદા રહે મારે હૃદયે રામજી, એવી મતી મારી રાખજો
હરિગુણ ગાતાં ઊડે પંખેરુ મારું, આવું તારે દ્વારે શુદ્ધ વેશ માં
અર્ધાંગનાં-મારીજ એક રચનામાં મેં લખ્યું છે કે “પરણે બધા એ તેને,પત્ની મળે જીવન માં,પણ હોય ભાગ્યશાળી,અર્ધાંગની મળે છે…”
અધેલો:-એક જમાના માં અધેલા નામનું ચલણ અમલમાં હતું, જે ત્યારના ચલણનું અર્ધ ભાગ જેવું મૂલ્ય દર્શાવતું. જૂનો અરધો પૈસો; દોઢ પાઈની કિંમતનો તાંબાનો સિક્કો.
રચયિતા : કેદારસિંહજી મે. જાડેજા -ગાંધીધામ -કચ્છ
- સદાવ્રતના સ્વામી : જલારામ બાપા
- સંત શિરોમણી જલારામ બાપા -વીરપુર
- જલા સો અલ્લા
- અન્નક્ષેત્ર તેમજ ચમત્કારી જ્ગ્યા એટલે જલીયાણ જોગી નું વીરપુર
- શ્રી જલારામ બાવની







