September 14, 2026

તરુણોનું મનોરાજ્ય

February 6, 2014  ·  1 મિનિટ વાંચન

ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ;
અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:

આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે
વિશ્વભરના યુવાનોની આંખો અડે
પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,
ગરુડ-શી પાંખ આતમ વિષે ઊઘડે

કેસરિયા વાઘા કરી જોબન જુદ્ધે ચડે;
રોકણહારું કોણ છે? કોનાં નેન રડે?

કોઈ પ્રિયજન તણાં નેન રડશો નહિ!
યુદ્ધ ચડતાને અપશુકન ધરશો નહિ!
કેસરી વીરના કોડ હરશો નહિ!
મત્ત યૌવન તણી ગોત કરશો નહિ!

રગરગિયાં-રડિયાં ઘણું, પડિયાં સહુને પાય
લાતો ખાધી, લથડિયાં – એ દિન ચાલ્યા જાય:

લાત ખાવા તણાં દિન હવે ચાલિયા,
દર્પભર ડગ દઈ યુવક દળ હાલિયાં;
માગવી આજ મેલી અવરની દયા,
વિશ્વસમરાંગણે તરુણદિન આવિયા.

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા, જોબન માંડે જાગ :

લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ-તળિયે જવું;
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું :
આજ યૌવન ચહે એહ વિધ જીવવું

[૧૯૨૯]

ઝવેરચંદ મેઘાણી
-સિંધુડો

સંબંધિત લેખ

સૌરાષ્ટ્રની ૧૭૦ જેટલી ભિન્ન ભિન્ન જ્ઞાતિ

વેશભૂષા અને સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ મનુષ્ય સામાજિક પ્રાણી છે. એની સામાજિકતાનાં ઘડતરમાં જુદી જુદી જ્ઞાતી, ધર્મ, વ્યવસાય, પ્રાદેશિકતા ધરાવતાં…