મેર એ ભારતનાં ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્ર વિસ્તારનાં કાઠિયાવાડમાં મહેર, મિહિર, મૈર, કે મેહર તરીકે પણ ઓળખાતા, ક્ષત્રિય કે રાજપૂત વર્ણનાં અને હિંદુ ધર્મના લોકોનો સમુહ છે. તેઓ ઇન્ડો-આર્યન સમુહનાં હોવાનું મનાય છે, અને તેમનો પોતાના માન સન્માન કાજે કેટલાયે યુદ્ધો, શૌર્ય અને બલિદાનનો સમૃધ્ધ અને વૈવિધ્યપૂર્ણ ઈતિહાસ છે. તેમના દ્વારા કરાયેલા કેટલાક બલિદાનો શપથ (વચન)ની પૂર્તિ, ફરજ અને સામાન્ય પ્રજાજનો તથા પોરબંદરનાં જેઠવા રાણાઓ પ્રત્યેની જવાબદારીઓને કારણે કરાયેલા. મેર લોકોની વસ્તી, ૧૯૫૧ની વસ્તી ગણતરી પ્રમાણે, લગભગ ૫૦,૦૦૦ જેટલી હતી, જે ૧૫૫ ગામો અને ૨૩ નેસોમાં વહેંચાયેલ હતી. મેર લોકોનો પારંપારીક વ્યવસાય યોદ્ધા અને ખેતિકામ કરનાર તરીકેનો ગણાય છે. પોરબંદરનાં જેઠવા રાણાઓ દ્વારા મેર લોકોને કેટલાક ગામો અને જમીનો આપવામાં આવેલ (જેને ગરાસદારીનાં ગામો કહેવામાં આવે છે), આક્રમણખોરો સામે રાજ્યના રક્ષણ માટે, રાજ્યની સેનાનો ભાગ બનવા બદલ આ ગરાસદારી આપવામાં આવેલ.
મેર જ્ઞાતિ