ઈતિહાસ બહારવટીયાઓ શુરવીરો શૌર્ય કથાઓ

ભાણ પટગીર

Bhan Patgir Gunda Darbar Shree

રાખડી નુ ઋણ – એક ખમીરવંતી લોક-કથા

ગુંદાના દરબાર શ્રી ભાણ પટગીરની જમીન અંગ્રેજોએ હડપી લીધી માટે તેમણે અંગ્રેજ સરકાર સામે બહારવટું શરુ કર્યું. કાળો બોકાસો બોલાવી દીધો અને અંગ્રેજોની નીંદર હરામ કરી નાખી. પટગીરને પકડવા અંગ્રેજ સરકારે ફરમાન કર્યું, “જાવ આ બહારવટીયા પટગીરને પકડી વઢવાણ કેમ્પ માં હાજીર કરો!” પરંતુ પટગીર પકડાયા નહીં, અને છેવટે અંગ્રેજોએ ઝાલાવાડ તથા ગાયકવાડ સરકારની પોલીસની મદદ લીધી. પોલીસ ભાણ પટગીર ને પકડવા રાત દિવસ એક કરવા લાગી.

રક્ષાબંધનના દિવસે પોતાની જીભની માનેલ બહેન સલમા ને ત્યા ભાણ પટગીર જાતે રાખડી બંધાવવા જાય છે, જેની માહીતી પોલીસને મળી ગઈ. અંધારાના સોળા ઉતરી આવ્યા હતા. ભેંકાર વગડો હળવે હળવે અંધારી રાત ના પાલવના તળે ઢબુરાવા લાગ્યોં હતો. ચારે કોર સૂનકાર ભાસે છે. આવા કહુલા વખતે કાઠી શ્રી ભાણ પટગીર રાખડી બંધાવવા સારું લખતરના પંથે ઉપડ્યા છે. આખીય સીમનો સુંવાગ ધણી હોય એમ, એકલતાના હાજા ગગડાવતો ચાલ્યા જાય છે.

ત્યા તો અચાનક જ બંદુકના ભડાકા થયા!

‘દગો, દગો,!!!’ હા, કોઇકે આપડી બાતમી દઈ દિધી લાગે છે.


ભાણ પટગીર પોતાના ધરમની માનેલી બહેન પાસે રાખડી બંધાવવા જાય છે, એ વાત તો આખુ જગત જાણે છે. એમા દગા કે ફટકા નો સવાલ જ નહોતો. પણ પછી થયું કે પોતે આ રસ્તે થી જ નીકળશે એવી તો કોને ખબર હતી? ભાણ પટગીર મનોમન સમસમી ગયા. અટાણે એ વાત ના લેખા જોખા કરવાનો સમય નહોતો. સમય તો ઉભા થયેલા મોરચા ને ભરી પીવાનો હતો.

એક જણ ફૂટી ગયો હતો. બાતમીદારે બાતમી આપી દીધી હતી. તે બાતમી ના આધારે બેઉ પંથકની પોલીસ રસ્તામા ઘેરો ઘાલીને પડી હતી. લખતર અને લીલાપુરના રસ્તામા એક કુવો આવેલો છે,આ કુવામા કેટલાક સિપાહીઓ સંતાઈ ગયા હતા અને ભાણ પટગીર ત્યાંથી નીકળતાની સાથે જ બંદુકની ધાણી ફોડવા લાગ્યા હતા.

બહારવટિયા ભાણ પટગીરે, દારુના તિખારાંમાથી ઉઠતા આછા એવા ઉજાશમાં જોઇ લીધું કે, કૂવાના કાંઠે અનેક સિપાઇઓ ઉભા રહી ગયા છે. છતાય તેની સામે અંધાધૂંધ ગોળીયું ચલાવી. આમ સામસામી ઝપા ઝપી બોલે છે, ત્યાં કાળને કરવું ને કપાસ ભરેલા ગાડાં ત્યાંથી નીકળ્યાં. ભાણ પટગીર અને એના સાથીઓ એ ગાડા ની આડાશ લઇ લીધી.

પોલીસની બુદ્ધિ જાજી હતી, તેમની સામે ટક્કર ઝીલવી એટલે મોતના મોંમા હડસેલાવા બરાબર હતું.

તેથી એમણે સાથીઓને લગોલગ કરી ને કીધું કે

હું પારોહ ના પગલા તો નથી ભરતો પણ ….

પણ શુ થયું!!?

પણ હું એકલા હાથે આ બધા ને પોગી વળીશ. તમે તમતમારે ભાગો….

ભાગો, ક્યા ભાગીયે?

જો ભાઇઓ’ દરબાર ભાણ પટગીર બોલ્યા, કેમ પણ મને અટાણે મને મોત ના ભણકારા વાગે છે, હામે પોલીસ બવ જાજી છે.

પણ આપડે કાંઈ ગાજ્યા જાઇ એવા થોડા છીયે. .

ઘડીભર તો ભાણ પટગીર અબોલ રહ્યા. પછી બોલ્યા કે મે સ્થિતીને જાણી લીધી છે. બળ હોય એની ના નહિ પણ ટેમ પારખી ને કળ થી પણ કામ લેવુ પડે. બસ મારુ માની જાઓ અને તમે નીકળી જાવ.

તો પછી હાલો આપડે હંધાય નીકળી જાઇ !

ના, ભાણ પટગીરે કહ્યુ, મારે રાખડી બંધાવવા જાવું જ પડે એમ છે.

પણ બાપુ….

મોત આવે અને જો હું પાછો વળી ને પછી મોડે થી રાખડી બંધાવુ તો તો ધૂડ પડી મારા જીવતરમાં, એક વખત જીભ કચરાઇ ગઇ છે, હાઉં. પછી ભલેને મોત હડી કાઢી ને હામું હાલ્યુ આવે મને બીક નથી!

આમ, બહારવટિયાઓ માં વાતની રકઝક ચાલે છે. પટગીરના આ બધા સિપાઇઓ સમજે છે કે ભાણ પટગીર એની ટેક પર અડગ રેશે. મોત ને મીઠુ કરશે પણ પોતાની ટેક નહિ તોડે.

ભાઇ! હુ ખાપણ માથે બાંધી ને ફરુ છું મોતની ભે નથી મને. તમને પણ નથી. પણ નાહક ના હામે થી પકડાવું શું કામ.

પોલીસ ની ગિસત બહુ વધારે હતી. એની સામે ટકકર જીલવી મુશ્કેલ હોવાથી પટગીરે ફરી સમજાવતા કહ્યુ, મારી વાંહે તો કોઈ રોનારુ નથી, પણ તમારા બાયડી-છોકરા ને રોતા શુ કામ મેલવા?’

તમે ભા! લાખ વાતું કરો પણ અમે તમને એકલાં મૂકી ને નંઇ જાઇ!

પટગીર પેટ ભરી ને હમજતા હતા કે, સાથીદાર પોતાને આમ એકલા છોડી ને નહીં જાય અને સાથે સાથીદારો સાથે ધર્મની માનેલી બહેન સલમાનો ખાંવીદ આમદ પણ હતો, એટલે આમદ ને કીધું, આમદ મારે મારી બેન ને કાપડુ આપવું છે પણ એનો ચૂડલો ભાંગવાનો નથી. તેથી ભલો થા અને આ બધાય ને લઇ અહીંથી તું થી ભાગી જા!’

કપાસના ગાડાઓ આગળ ને આગળ વધ્યે જાતાં હતા. ગાડા ખેડુ પણ બિકના માર્યા ગાડા ના ઉંધ્ય માથે લપાઈ ગયા હતા. રાશ ઢીલી પડી ગઇ છે. ઢાંઢાઓ મન મોખાળ્યે પલ્લો કાપ્યે જતા હતા. અંધારુ અને આકાશ પંથ કપાવવા માટે ખુબ પાસરા હતા,પણ પાછળ પોલીસ પગેરું દબાવ્યે બંદૂક ના ભડાકા કર્યે આવતી જ જતી હતી. દુશ્મન ની ગોળી થી વિંધાતા જરાયે વાર લાગે એમ નહોતી.

ભાગો, અને જો ના ભાગો તો તમને હંધાયને સુરજનારાયણ ના હમ છે!

ભાણ પટગીરે છેલ્લા ઉપાય તરીકે બોલી નાખ્યું. સૂરજદાદાના સમ સામે મિંયાણા સિપાઈઓ ઢીલા પડી ગયા અને છેવટે લખતર બાજુ ના માર્ગે ભાગી ગયા.

પોલીસની ગિસત સાવ નજીક આવી પહોંચી હતી. તેથી તેની વાર કરવાનુ માંડી વાળી ભાણ પટગીરે ઘોડી ને વહેંતી મુકિ. આગળ ભાણ પટગીર અને પાછળ પોલીસની ગિસત.

એકલમલ બહારવટિયા ભાણ પટગીરે લખતર થઇ ને ટીકર ના ટાણ બાજુ વળ્યો
અને છેવટે સામી છાતીએ ઉભો રહ્યો.

થાજો માટી. . ! કહિ ને ભાણ પટગીરે બંદૂકનો ભડાકો કર્યો.

અને ત્યા સામેની બાજુએ થી સામટી અનેક બંદુક ના નાળચાઓ એ આગ ઓકી. ખરાખરી નો ખેલ જામ્યો, અને જોત જોતા માં અંગ્રેજોની આખે પાણી લાવી દેનાર દરબાર ભાણ પટગીર ચારણી ની જેમ વિંધાઇ ગયા.

લખતર ગામ માં માડીજાયા વીર કરતા પણ વધારે હેતથી વાટ જોતી સલમા ભાણ પટગીર ની વાટ જોઈ ને બેઠી છે. બિહામણી રાત પંથ કાપ્યે જાય છે પણ પટગીર ના ક્યાંય વાવડ નથી. ત્યા તો આમદ આંગણામાં આવી ને ઉભો રહ્યો. તે વખતે જ આંગણામાં બેઠેલી ચીબરીએ ધા દઈ ને કાળો ચહકારો કર્યો. સલમાના કાળજા માં ઉભા ચીરા પડી ગયા. તેમણે આદમને તીર જેવો વેધક સવાલ કર્યો

ક્યાં છે મારો વીર?
આદમ મૂંગો મંતર થઈ કાઇ બોલી શક્યો નહિ.

મૂંગા કેમ થઇ ગ્યા. ખભે થી પકડીને સલમા એ આદમ ને હડબડાવ્યો’

એમણે અમને સૂરજ નારાયણ ના હમ દઇ ભગાડ્યા, આદમ સાથેના એક જણે પેટ છુટી વાત કરી નાખી. અને સલમાની માથી જાણે કડકડતી વિજળી તુટી પડી.

સલમા એ ગળુ ફાડી ને કહ્યુ, શું! આંયા તમારી કોણ વાટ જો’તુ તુ, તે આમ હાલ્યા આવ્યા. એ દી પટગીરે તમારી દિકરી ની આબરું ને બચાવી અને આજે તમે એને એકલાને નોંધારો છોડી ને હાલ્યાં આવ્યા!?

પટગીર વીરા, મારા વિરા તુ છે ક્યાં? સલમા ગાંડા ની જેમ પટગીરના નામ નું રટણા કરવા લાગી. સલમાનુ આવું આક્રન્દ જોઇ ઘડીભર રાત ને પણ ડુસંકુ આવિ ગયું.

સલમા બોલીઃ જાવ આજથી તમારું મો ના બતાવતા અને તમારો ને મારો સંબધ હવે પુરો સમજજો.

એ દિવસ પછી જિંદગીભર સલમાએ આદમ સાથેનો વ્યવાહાર તોડી નાખ્યો, અને આદમનું મો પણ જોયુ ન હતુ.

 – સાભાર રાઘવજીભાઇ માધડના લેખો પરથી

ગુંદાના કાઠી દરબાર શ્રી ભાણ પટગીર, નોળીના દરબાર શ્રી એભલ પટગીર ના બહારવટામાં સામેલ થયેલા. દરબાર શ્રી ભાણ પટગીરે વડોદરાની ગાયકવાડ સરકાર અને અંગ્રેજોની એજન્સી સામે વીરતા થી લડી ને પોતાની તાકાત નો પરચો પૂરેલો. પાલરવભા પાલીયાએ આ દરબાર ભાણ પટગીર ના પણ કલાત્મક દુહા રચેલા છે જેમા જે તે સમયના યુધ્ધના પ્રદેશ નામો નો પણ સમાવેશ થાય છે.

શત્રુ હડફેટે ચડે, મદસક મેદાને;
તેના તરવારે ભેજા(મસ્તક) ઉડાડે ભાણવો.

મચ્યો ધંધ મરદા તણો, ધાંગ્રધે ધ્રુફાણ;
પાછા પટગર રાણ, ભર્યા નઇ પગલા ભાણવા.

ધાંગ્રધા વાળો ધણી, ભડવા આવેલ ભોપાળ;
થડક્યો નહી તું થોભાળ, ભારથ મચાવ્યો ભાણવા.

ત્રાટક દીધેલ તુરખે, ચુડા માથે ચોટ;
રંગ ભીના રાજકોટ, ભાંગ્યુ પટગર ભાણવા.

ચૂડાની ચટણી કરી, રણજીતલ ચણ લોટ,
કારીયાણીનો કોટ, ભુકા કરે ભાણવો.

દુહા લખનાર – પાલરવભા પાલીયા
સાભાર  કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators