ઈતિહાસ બહારવટીયાઓ

દેવાયત બહારવટિયો

ભડલીનો આશરો

દેવાયત બહારવટિયો એટલે ભુપત બહારવટિયાનો સાથી

સ્વતંત્ર ભારત દેશમાં એક દાયકો એવો હતો જે ને યાદ કરીને રોમ રોમ ઊભા થય જાય.
એ ખોફનાક સમયગાળો અને ભારત- પાકિસ્તાન ભાગલા ને ચારેય તરફ અપરાધનો માહોલને ધીમે ધીમે ઉગતો લોકશાહીનો સમય.
એવો એક દાયકો ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રાન્તમાં પણ આવ્યો હતો.

ભુપત ડાકુ અને એમના સાથીદારોએ સૌરાષ્ટ્ર ધરાને હલાવીને રાખી દીધી હતી, ગામે ગામ એ દાયકામાં ભુપત બહારવટિયાનુ અને એમના સાથીદારો નામથી લોકોમાં ભય ઉભો થય જતો.

એ સમયગાળા અંદાજે ઈ.સ. ૧૯પ૦-પ૩ હતો રોજે રોજ એક લુંટ, ખુન,ધાડપાડ અને એ સમય ના સમાચાર પત્રોમાં ભુપત…. ભુપત…..


૧૯પ૦-પ૩ ના સમયના જયહિન્‍દ, ફુલછાબ, પ્રભાત, નૂતન સૌરાષ્ટ્ર, વંદે માતરમ જેવા અખબારમાં ભુપત અને એના સાથીદારોના અપરાધનના આવતા રોજે એક સમાચાર એની સાક્ષી પુરે છે.

એ સમયે સૌરાષ્ટ્રના ગામડામાં લૂંટફાટ અને નિર્દોષ માણસની હત્યા કરનાર ભૂપત આરઝી હકૂમતના એક સમયના અડીખમ યોદ્ધા વાઘણીયા દરબારશ્રી અમરાવાળા નો સિપાહી, રમતવીર, નિશાનબાજ ભૂપતને સ્‍વતંત્ર ભારતના ઇતિહાસમાં કયાંય સ્થાન મળ્યું નહી જે યુવાન આરઝી હકૂમતના આંદોલનમાં જુનાગઢ નવાબને ભાંગવા માટે ભારતનો ભોમિયો બને છે. એ યુવાન પછીના સમયે બહારવટીયો કેમ બન્‍યો? ‘એેેક હતો ભૂપત’ લેખક – જીતુભાઈ ધાંધલ ‘ભૂપત’ નામે કાળું વાંકે લખેલી કથા ભૂપતે પોતે જ લખેલ તેમની હપ્‍તાવાર આત્મકથા જયારે હું ભૂપત હતો, આ બંને ગ્રંથો આ પુસ્તકના અગત્યના આધાર બની રહે છે.

ભુપતના સાથીદારોમાંથી એક દેવાયતભાઈ જેઠાભાઈ ભુવા સોરઠીયા આહીરનો નાતો ભડલી ગામે હંમેશા જીવંત રહેશે.
“કહેવાય છે કે પારેવાના પગ પાંચ દી’ રાતા”
સરકારે ઈનામ જાહેર કર્યુ અને પોલીસવડા પર તત્કાલીન સૌરાષ્ટ્ર રાજ્યના ગૃહ પ્રધાન રમણીકલાલના દબાણ જેથી પોલીસ સક્રિય થઈ અને મિશનો પર મિશનો કરી અમુક અંશ સફળતા હાંસલ કરી ભુપતની ટોળી વિખેરી નાખી અને અમુક સાથીદારોને શોધખોળ કરી મારવા લાગી.

અંતે ધીરે ધીરે બહારવટીયા ભુપતની ટોળી વિંખાવા લાગી.

એવા સમય ભાવનગર રાજપરીવાર દ્વારા ભુપત અને એમના સાથીદારો આશરો આપવામાં આવ્યો.

(*નેકનામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી અને તમેના ભાઈઓ નિર્મલકુમારસિંહ અને ધર્મેન્દ્રકુમારસિંહજી
ભાવનગર રાજપરિવારનો સંબંધ ગોંડલ સ્ટેટ રાજપરિવાર સાથે હતો )

જેમાં દેવાયત ભાવનગર રાજપરિવારના ડ્રાઈવર તરીકે રહ્યાં અને ભુપત અને એમના બીજા સાથીદારો અમુક સમયાંતરે બીજે જતા રહ્યા હતા.
આપસી ફુટ કારણે પોલિસને જાણ થઈ કે દેવાયત ભાવનગર રાજપરિવારના આશરે છે જેને રંગે હાથે પકડવા ગોંડલ મુકામે ગુજરાત પોલીસ દ્વારા ષડ્યંત્ર રચવામાં આવ્યું અને એ ષડયંત્ર પોલીસ સફળ થઈ આશરે રહેલા દેવાયત ગોંડલથી ભગાડવામાં આવ્યા.

દેવાયત આહિર પોલીસ બચી ગોહિલવાડ પંથકમાં આવ્યા ગામડે ગામડે ગયા પણ બહારવટિયાને ઉપરથી સરકારનુ ઈનામ..આશરો કોણ આપે, બધાએ ના પાડી નિરાશા હાથે લઈ આવેલા દેવાયત સિહોરની બજારમાંથી ભડલી ગામનુ નામ સાંભળ્યું ને ભડલી આવી ચડ્યાં, જીજીભા બાપુ અને તેમના પરિવાર એ આશરો આપ્યો એટલે દેવાયત નવો જોશ મળ્યો.

ભડલી ગામની આથમણી સીમમાં વાડીએ આખો દિવસ આંબા ઉપર રહેતા અને રાતે ગામ ભાંગવા, ધાડફાડ – લુંટ જેવા ગુનાઓને અંજામ આપતા.

સમય જતા ધીરે ધીરે સંબંધ વધ્યો અને ભડલી ગામમાં દુધમાં સાંકળ ભળે એમ ભળી ગયા.

એવા સમય માં બાજુના ગામની જાનના વળાવ્યા [જાનમાં જતા જાનૈયાની જાન માલની ડાકુ-લુંટારાઓથી સુરક્ષીત રાખવા માટે ક્ષત્રિય સાથે લઈ જતા ] તરીકે આવવાનું આમંત્રણ મળ્યું એટલે ભડલી ગામ માંથી દરબારો અને દેવાયત વળાવ્યા તરીકે જાનની સાથે ગયા.

જાન ગોંડલ મુકામે ગઈ હતી. એ સમય એક એવો રિવાજ હતો કે જ્યાં સુધી વળાવ્યા જાનની સુરક્ષા જ્યાં સુધી સાબિત ના કરે ત્યાં સુધી જાન વળાવામાં ના આવતી.
એ સમય નિશાની ખેલ રચવામાં આવતો, જેમાં નિશાન સાધી વળાવ્યા પોતાનો ભરોસો પુરો પાડતા જેથી કન્યા પક્ષવાળા પોતાની દિકરી અને જમાઈની સુરક્ષા માટેની ચિંતામાંથી મુક્ત થતા.

એ અંતર્ગત અહીં પણ નિશાની ખેલ રચવામાં આવ્યો પણ આ વખતે અલગ જ હતો સોપારી એ પણ તોરણમાં બાંધવામાં આવી હતી.
તોરણમાં સરકારી દોરી ઉપયોગ થયો હતો જેથી દરબારો અને દેવાયત જાણ થઈ ગઈ હતી કે પોલીસ પણ સામેલ હોય શકે…

“દેવા મને લાગેશ કે કાંઇ કાળું છે હો”

“હા બાપુ નકર સોપારુ હોય ક્યા ને ઈ સરકારી દોરડે”

“હુ તો આ નય પાડી હગુ”

“તો બાપુ હું પાડી દવ”

“ના તું પાડીશ તો ખબર પડી જાહે હો”

“બાપુ ભડલીની આબરૂનો સવાલ છે હો.

ને એ તો મારે આજે નય કાલે”

“દેવા તો પછી હું શુ જવાબ આપીશ”

“એ તમતારે હું આવી જાયશ તમે જાન પોગડી દે જો”

કરીને સોપારીનું નિશાન લીધું અને સોપારી ઉડાવી દીધી એ સમય દરેક વળાવ્યા ઉપર પોલીસ દેખરેખ રાખતી, નિશાન લેતા પોલીસને અંદાજો આવી ગયો કે આ દેવાયત જ હોય શકે

નિશાની લઈ દેવાયત પોતાની કરામતથી ત્યાંથી ફરાર થઈ ગયા, જાન વળાવી દીધી…

ને બે દિવસમાં જાન પહોંચી પણ ગઈ પણ દેવાયત પહોંચા નઈ એટલે જીજીભા બાપુ પુછ્યું ” દેવાયત ક્યાં ”

“એ… એને ના પાડી તોય નિશાન પાડ્યું ઈ પોલીસ જાણ થય એટલે એ તો ત્યાંથી નીકળી ગયો હતો પણ જાતા જાતા કીધું હતું કે હું આવી જાયશ”
” ભલે તો ઈ તો પોંચી જાહે ”

એના જ બીજા દિવસે દેવાયત એક ગામ મા પહોંચ્યા અને ત્યાંના એક શેઠને ધોળા દિવસે લુંટની ધમકી આપી. એટલે શેઠે પોલીસને જાણ કરી પોલીસ તરત ગોઠવાઈ ગઈ અને બપોરના સમયે પોલીસના વેશમાં આવીને શેઠ પાસેથી લુંટ ચલાવી પોલીસને જાણ થાય તે પહેલાં ત્યાંથી નિકળી ગયો. પોલીસ પાછળ પડી.
ભડલી આવતા વચ્ચે ઢોર ચરાવતા ગોવાળના કપડાં પહેરીને ઢોર ચરવા લાગ્યા પોલીસ જેની શોધમાં હતી એને જ પોલીસને અવળે રસ્તે વાળી દીધી…
ત્યાંથી આવતા ભડલીની સીમાંડે લુંટેલો માલ ડાટી દીધો અમુક રોકડ રકમ લઈ ભડલી આવી પહોંચ્યા

જીજીભાબાપુ અને દેવાયતે સાથે વાળું કર્યુ ને બેઠા.

“બાપુ કાલ ના દિ’ ઉગતા દેવગાણા ભાંગવાનો વિચાર છે”

” હમણા ખમૈયા કરી જાને ભઈ ”

” ના બાપુ કાલ તો ભાંગવુ જ છે ”

” તો તારી મરજી જે કર ઈ પણ ધ્યાન રાખજે હો ”

અને એટલી વાત કરી એમના નિયમ પ્રમાણે (લુંટ કરતા પહેલા ધમકી આપી આવતા) ધમકી આપી.
દેવગાણા પાદરે ઉભા રહીને “તમારે જેમ રેવુ એમ રહો કાલે તમારૂં ગામ ભાંગવાનુ છે ” કહી ભડલી પાછા ફર્યા.

દેવગાણા ગામમાં ભયભીત વાતાવરણ ઉભું થયુ અને બધી ઘટનાઓ અને આપસી ફુટ કારણે તત્કાલિન પોલીસ વડાને જાણ થઈ ગઈ.

સવારે વહેલા જીજીભાબાપુ અને દેવાયતભાઈ વાડીએ ખાટલા પર બેઠા હતા ત્યારે દેવાયતભાઈ બોલ્યા “બાપુ મને ભડલીમાં તો બીક નથી ને કોઈ ફુટે એવું પણ નથી લાગતુ પણ મે ભુલ કરી છે….”

શુ..વળી ??

“બાપુ…. હું દસ ગામમાં આશરા હાટુ જઈ આવ્યો અને પાછી ઓળખાણ પણ આપી આવ્યો…”
“હવ… એવી ચિંતા ના કરવાની હોય લેર કર થાય ઈ જોઈ લેશું”

પણ, કરમને કરવું અને પોલીસ તપાસ કરતા જાણવા મળ્યું કે વળાવિયા તરીકે ભડલી ના દરબારો હતા તો નક્કી ત્યાં હોવો જોઈએ તથા ઈનામની લાલચમાં આવી કોઈએ પોલીસને બાતમી આપી. રાત્રિના સમયે પોલીસ કાફલો ભડલી તરફ રવાના થયો.

આ સમયે આશરે ૩૦૦ ની વસ્તીના ગામમાં ૪૦૦ પોલીસ કંપની હથિયારો સાથે પહોંચી ગઈ.

રાતે દેવાયત અને જીજીભા બાપુ બન્ને વાળું કરવા બેઠાને ગાડીઓના અવાજથી મોરલા બોલ્યા એટલે દેવાયત એ કહ્યું “બાપુ હવે જાન આવવી ગઈ હો મારી”

“અરે….હોય દેવા”

ને પોલીસ ચડી આવી છે એ વાતની જાણ ગામના એક કોળીએ કરી.

“બાપુ ગામને પાધરે પોલીસ પોલીસ જ્યાં સુધી ધાન જાય ન્યાં સુધી છે બધા જોટા લય ત્યાર થઈ આવ્યા છે ગામમાં દેવાયત ગોતે છે”
ગામમાં હાહાકાર મચી ગયો દરેક ઘરો તપાસમાં આવ્યા પણ ક્યાં દેવાયત મળયો નહીં એટલે પોલીસ અલગ અલગ દિશામાં ટુકડીઓ વેંચાય ગય….
એવામાં બાપુએ દેવાયતને

“દેવાયત આપણાં અનજળ અટલા હતા ભાઈ હવ ભાગ અને અહીંથી ખોખરા દશ દોર આ નય મુકે”

“ભલે બાપુ હાલો ત્યારે જે માતાજી” કરી દેશી તમંચો અને એમનોના હથીયારો લય ભાગ્યા પણ માતાજીની ધારે( હાલ જ્યાં ગોહિલના કુળદેવી બેઠા છે ત્યાં) જવાની જુની કેડી પાસે ભાગતા પોલીસ ભાળી ગઈ અને પોલીસ વડા ગોહિલ સાહેબ અને દેવાયત વચ્ચે ફાયરીંગ થયું એ ફાયરીંગમાં દેવાયતભાઈને સાથળના ભાગે ગોળી લાગી પણ હોંશમાં ને હોંશમાં દેવાયત સમઢીયાળા સીમ સુધી પહોંચી ગયા.

ત્યાં એક કુંભાર કૌંસ હાંકતા હતા.

“એય… કૌંહ છોડ અને ગાડું જોડ મને ઉંડી કાંટ ઉતારી જા ”

“ના.. એ વડકા… હુ નાખે છો…!! કોણ છો અને કેમ લુલો હાલે છો”

“આજનો દી’ હાંકવો છે રોજ હાંકવો છે”(દેશી તમંચો બતાવીને)

કુંભાર ગભરાઈ ગયો અને એમને કૌંસ છોડીને ગાડું જોડ્યું ને ઉડવાઈ ની વાવની (ખકરડી અને ખોખરાનો સીમ વિસ્તાર) ઉંડી કાંટમાં ઉતારી દીધાં

હાલ પણ એ જગ્યા એ ધોળા દિવસે પણ કોઈ છુપાયેલી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે.

એ ગાળામાં નીચે કે ઉપરથી પયનિશાન લઈ શકાય એવી જગ્યાએ દેવાયત છુપાય ગયા.

પણ લોહીના ટીપાં કેડામાં પડેલા એ પરથી પોલીસ જાણ થઈ ગઈ અને સમઢીયાળા સુધી પહોંચી ગયા, ગાડામાં લોહીથી લથપથ જોઈને કુંભારની પુછતાછ કરી…
“એ…. આ ગાડામાં લોય કોનું છે”

“સા’બ એ વાછડુ મરી ગયું છે એને નાખવા ગયતો”

“સાચુ બોલ સાલા….”

કુંભાર ગભરાય ગયો પોલિસને બધું કહીં દીધું અને દેવાયતને જે જગ્યા ઉતર્યા હતા એ જગ્યા બતાવી દીધી….
પોલીસે એ જગ્યાને ફરતી ઘેરી લીધી…

દેવાયતભાઈ પાસે માત્ર ત્રણ ગોળીઓ બચી હતી.

ફાયરીંગ થયું એટલે સામે રહેલા એક પોલીસને ત્યાં જ ઠાર કર્યો….

કોઈ પોલીસ કર્મચારી હિંમત ન હતી કે ત્યાં સુધી પહોંચે એવામાં પોલીસ વડા ગોહિલ સાહેબ હિંમત કરી પણ દેવાયત ગોળીનો બદલો વાળ્યો વધેલી બે ગોળી માંથી નિશાને લઈ ગોહિલ સાહેબ પણ ઠાર કર્યા…

તારીખ ૯-૨-૧૯૫૨ના રોજ એમને ખરકડીના અને ખોખરાના ડુંગરના ઊંડાઈની વાવના ડુંગર ઉપર ઠાર કર્યા આજે પણ એ જગ્યાએ એમનો પાળીયો મોંજુદ છે…….(પોલીસ રેકોર્ડમાં એનકાઉન્ટર બોલે છે પણ કહેવું એવું છે કે એક ગોળી વધી હતી એટલે એમને ખુદે પોતાની જાતને ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું)

આજે પણ કહેવાય છે ભડલી દેવાયતને આશરો આપનારી

દેવાયત સાથે રહેલ વડીલો પાસેથી મળેલી માહિતી પરથી……
પ્રસ્તુત કર્તા: યુવરાજસિંહ ગોહિલ – ભડલી (દાજીરાજ)
પ્રેરણાસ્ત્રોત: સુરપાલસિંહ ગોહિલ – ભડલી
– Dajiraj Gohilwad

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators