ઈતિહાસ કલાકારો અને હસ્તીઓ

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા

ગૌરીશંકર ઉદયશંકર ઓઝા કે ગગા ઓઝા આઝાદી પહેલાંના સમયમાં ભાવનગર રાજ્યના મુખ્ય કારભારી હતાં. જીવનનાં અંતિમ વર્ષોમાં તેમણે સન્યાસ લીધો હતો અને સચ્ચિદાનંદ સરસ્વતિના નામે ભાવનગર શહેરની બહાર આશ્રમ બનાવીને રહેતા હતાં તથા સંન્યાસી જીવન ગાળતા હતાં.

શરુઆતનું જીવન તથા અભ્યાસ

એમનો જન્મ ૨૧ ઓગષ્ટ ૧૮૦૫ માં ઘોઘા ખાતે વડનગરા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. એ અઢાર મહીના (દોઢ વરસ)ની ઉમરના હતા ત્યારે એમની માતાનું અવસાન થયું હતું. એમણે પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમમાં સામાન્ય અભ્યાસ કર્યો હતો.

કારકિર્દી

તેમણે ૧૭ વર્ષની ઉમરે સેવકરામ દેસાઈનાં સહાયક તરીકે ભાવનગર રાજ્યમાં નોકરી મેળવી હતી. એક વરસ પછી એમની બદલી એ સમયનાં ભાવનગર રાજ્યનાં કુંડલા પરગણામાં કરવામાં આવી. કુંડલામાં તેઓ આસિસ્ટન્ટ રેવન્યું ઓફિસરની પદવી પર હતાં. આ કાર્યભાર તેમણે ચાર વર્ષ સુધી સંભાળ્યો હતો. આ સમય દરમિયાન તેમના અને ભાવનગર રાજ્ય માટે ખૂબ કપરો સમય રહ્યો હતો કેમકે એ સમય ગાળામાં જ કુંડલાનાં ખુમાણો, હાદા ખુમાણ અને એમના પુત્ર જોગીદાસ ખુમાણ, ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યાં હતાં. ખુંમાણોનાં બહારવટાને નબળું પાડી દેવાના કાર્યમાં એમનું યોગદાન જોઇને એ વખતના ભાવનગર રાજ્યનાં ઠાકોર વજેસિંગએ એમને નોકરીમાં બઢતી સાથે ભાવનગરમાં સ્થાન આપ્યું હતું. ૧૮૦૨ની સંધી પર ૧૮૧૬માં એક રેગ્યુલેશન ઉમેરીને અંગ્રેજો ભાવનગર રાજ્યની હદમાં હોય પણ એ સંધિમાં શામેલ હોય એવા ધંધુકા, ચૂડા, રાણપુર અને ઘોઘાના ૧૧૬ ગામોમાં આ જ રૅગ્યુલેશનનો અમલ કરાવવાનો શરૂ કર્યો હતો. જેને પરિણામે ભાવનગર રાજ્યનાં ઠાકોર વજેસિંગ સામે જ એમણે દિવાની કેસો અમદાવાદ અને સુરતની કોર્ટમાં દાખલ કરી દીધા હતા. આ મુકદમાઓના કામ માટે ૧૮૨૬ થી ૧૮૩૦ દરમિયાન ભાવનગર ઠાકોર વજેસિંગના ઍજન્ટ તરીકે કામ કરવા માટે મૂકવામાં આવ્યા હતા.

૧૮૪૭ના વર્ષમાં મુખ્ય કારભારી પરમાનંદદાસે પોતાની ઉમરના કારણે રાજ્યનાં મુખ્ય કારભારી પદેથી રાજીનામું આપ્યું અને ઠાકોર સાહેબનાં અંગત કારભારી ગીરજાશંકર કરૂણાશંકરનું પણ એ જ વર્ષમાં અવસાન થઇ ગયું. આ કારણે ઠાકોર સાહેબે પોતાના અન્ય જુના એક કારભારી સેવકરામ રાજારામ દેસાઈના દિકરા સંતોકરામ સેવકરામ દેસાઈ અને ગૌરીશંકર ઉદયશંકર ઓઝાને મુખ્ય કારભારી પદની સંયુક્ત જવાબદારી સોંપી.


કારભારી પદે નિયુક્ત થયા પછી એમની જાણમાં આવ્યું કે રાજ્યે સામે કંપની સરકારના ૭૦ જેટલા વિવિધ મુકદમાને કારણે રાજ્યે દર મહીને રૂ ૧૫૦૦ જેટલી રકમ ભરવી પડે છે. આથી કાઠીયાવાડના પોલીટીકલ એજન્ટ કર્નલ લેંગની સાથે વાટાઘાટો કરીને રાજ્યને દર મહીને ચુકવવા પડતા દંડથી બચાવ્યું હતું.

જુનાગઢ રાજ્યએ ભાવનગર રાજ્યનાં થોડા કંડલા પરગણાનાં અને બાકીના મહુવા પરગણાનાં એમ કુલ ૭૬ ગામ પર પોતાનો દાવો કર્યો હતો અને બે રાજ્યો વચ્ચેના ઝગડાને ટાળવા માટેના બહાના નીચે એજન્સી સરકાર એ બધાજ ગામોને પોતાનામાં સમવી લેવાની તૈયારીમાં પડી ત્યારે ગગા ઓઝાએ જુનાગઢ રાજ્યને ૯૦૦૦ રૂ. ચુકવીને ગામોને ખાલસા થઇ જતા બચાવીને એ ગામો પર ભાવનગર રાજ્યનો હક્ક જાળવી રાખ્યો.

સેલે મામદ અને તાલાહ મામદ નામના બે આરબ જમાદારોએ પોતે ભુતકાળમાં આપેલી જામીનગીરીની સામે ૭૨,૦૦,૦૦૦ રૂ લેણા નિકળતા હોવાનો કેસ ભાવનગર રાજ્ય સામે કંપની સરકારની અદાલતમાં કર્યો હતો અને એના બદલામાં એ જમાદારો એ મહુવાના ફળદ્રુપ પરગણા પર કબજો કરી લીધો હતો. ગગા ઓઝાએ ૧૧ મહીના સુધી અંગ્રેજ પોલીટીકલ એજન્ટ સાથે કામ કરી ને એમને એ સાબીત કરી આપ્યુ હતું કે ભાવનગર રાજ્યે ફક્ત ૩,૨૫,૦૦૦ આપવાનાં થાય છે જે વાત પોલીટીકલ એજન્ટને ગળે ઉતરતા એમણે જમાદારોને મહુવા પરગણું ભાવનગરને પરત આપી દેવાનો હુકમ કર્યો હતો. સંવંત ૧૯૦૫ (ઇ.સ. ૧૮૪૯) માં પોલીટીકલ એજન્ટે ભાવનગરની મુલાકાત દરમ્યાન નોંધ્યું કે જમાદારો એ હુકમનું પાલન કર્યુ નથી ત્યારે તેમણે સશત્ર હુમલો કરાવીને મહુવા પર કબજો મેળવીને ભાવનગર રાજ્યને પરત કર્યું.

૧૩ જાન્યુઆરી ૧૮૭૯ ના દિવસે તેઓએ સેવા-નિવૃત્તિ લીધી. ત્યારે એમનો કાર્યકાળ ૫૫ વરસનો થતો હતો હતો જેમાં મુખ્ય કારભારી પદ પર ૩૫ વરસ સેવા આપી હતી.

નિવૃત્તિકાળ

મુખ્ય કારભારી તરીકે સેવા નિવૃત્ત થયા પછી તેમણે વેદાંતનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યુ હતુ. ૧૮૮૪માં એમણે સ્વરૂપનું સંસાધન નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યુ હતુ. મેક્ષમુલરે જ્યારે આ પુસ્તક ભેટમાં મેળવ્યું ત્યારે એણે વળતા પત્રમાં આ પુસ્તકને “પોતાને મળેલી મહામુલી ભેટ” ગણાવ્યું હતુ. ૮૧ વરસની ઉંમરે એમણે સન્યાસ લેવાનો નિર્ણય કર્યો. એમના આધ્યાત્મીક ગુરૂએ એમનું સંન્યાસ-જીવનનું નામ “સચ્ચિદાનંદ સરસ્વતિ” આપ્યું. એમણે સન્યસ્ત લીધુ એ પ્રસંગના માનમાં ભાવનગર રાજ્યની તમામ સરકારી કચેરીઓ બે દિવસ બંધ રાખવામાં આવી હતી.

સન્માન

  • સી.એસ.આઇ.
  • એમની સેવાઓ યાદ કરીને શહેરને એક સમયે પાણી પુરુ પાડતા તળાવનું નામ ગૌરીશંકર તળાવ રાખવામાં આવ્યું છે.

-માહિતી સ્ત્રોત : વિકી પીડીયા

    તમારો અભિપ્રાય આપો






    Subscribe Here

    વેબસાઈટ પર આવતી નવી માહિતીને દર અઠવાડિયે એક વખત ઇ-મેલ પર મેળવો...

    Advertisement

    Advertisement

    માહિતીનું દાન આપો માં ભોમ ને કાજ

    શું તમે કોઈ માહિતી આ વેબસાઈટ પર હોવી જોઈએ એવું ઈચ્છો છો?

    તો નીચેની લીન્ક પર ક્લિક કરો

    Send Information

    Follow us on Instagram

    error: © Content is protected !! All Rights Reserved by Content Writers and Creators